બ્રાઝિલના કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો ખતરોઃ બ્રિટને તમામ ટ્રાવેલ કોરિડોર પર સોમવારથી લગાવ્યો પ્રતિબંધ
લંડન, તા. ૧૬ : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને એલાન કર્યુ છે કે કોરોના વાયરસના એક અજ્ઞાત સ્ટ્રેનનો ખતરાથી નાગરિકોની રક્ષા માટે સોમવારથી તમામ ટ્રાવેલ કોરિડોર પર બેન લગાવાવમાં આવ્યો છે. જોનસને કહ્યું કે અનેક વ્યકિતઓ જે બીજા દેશથી બ્રિટન આવી રહ્યા છે. તેમને આવતા પહેલા પોઝિટીવ ન હોવાના પુરાવા બતાવવા પડશે. આ પહેલા બ્રાઝિલમાં ફેલાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ દક્ષિણ અમેરિકા અને પોર્ટુગલથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
પ્રધાનમંત્રી જોનસનનું કહેવું છે કે નવા નિયમ ઓછામાં ઓછા ૧૫ ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. બ્રિટનના પીએમએ આ પગલુ એવા સમયે ઉઠાવ્યુ છે જ્યારે બ્રિટનમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા ૮૭ હજારને પાર કરી ગઈ છે. સરકારી આંકડા મુજબ શુક્રવારે કોરોના વાયરસથી ૫૫, ૭૬૧ મામલા સામે આવ્યા છે.
આ દરમિયાન કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં મરનારા લોકોની સંખ્યા શુક્રવારે લગભગ ૨૦ લાખ થઈ ગઈ છે. જોકે અનેક દેશોએ મહામારી પર કાબૂ મેળવવા માટે પોતાને ત્યાં રસીકરણ શરુ કરી દીધુ છે. પરંતુ ગરીબ અને ઓછા વિકસિત દેશોમાં રસી પહોંચાડવામાં સમસ્યા આવી રહી છે.