મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

" જય જય ગરવી ગુજરાત " : દરિયાપારના ગુજરાતીઓનો વતનપ્રેમ : માત્ર હૃદયમાં નહીં અમલમાં પણ છે : 16 મા પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે 9 જાન્યુઆરીના રોજ શ્રી રમેશ તન્ના, શ્રી સુનિલ નાયક, શ્રી રામ ગઢવી, શ્રી રાજેશ પટેલ ,તથા શ્રી હેમંતભાઈ શાહનું મનનીય ઉદબોધન

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : વિશ્વમાં દરિયાપાર વસતા આશરે ત્રણ કરોડ બિનરહીશ ભારતીયો ( એનઆઇઆર ) માંથી એક કરોડ જેટલા તો ગુજરાતીઓ છે.એનઆરઆઈઓનો લગભગ ત્રીજો હિસ્સો ગુજરાતીઓનો છે.તેઓ માત્ર સંખ્યાની રીતે જ વધુ છે તેવું નથી .ગુજરાતી ડાયસ્પોરિક સમાજ વ્યાપક હોવાની સાથે પ્રભાવક પણ છે.એટલું જ નહીં તેમના હૃદયમાં માદરે વતન ગુજરાત કાયમ ધબકે છે.અને તેઓ વિવિધ રીતે પોતાનો વતનપ્રેમ વ્યક્ત પણ કરે છે.દરિયાપાર વસતા લાખો કરોડો જેટલા એનઆરજી ....તેમનો વતનપ્રેમ માત્ર  હૃદયમાં નથી અમલમાં પણ છે.....આ શબ્દો જાણીતા લેખક -પત્રકાર -વક્તા -કર્મશીલ અને બે દાયકાથી  ડાયસ્પોરા સાથે સક્રિય રીતે જોડાયેલ શ્રી રમેશ તન્નાએ કહ્યા હતા.

પ્રવાસી ભારતીય દિવસ નવમી જાન્યુઆરી 2021 શનિવારે રાત્રે નવ કલાકે યોજાયેલા વર્ચ્યુઅલ સેમિનારમાં ' દરિયાપારના ગુજરાતીઓનો વતનપ્રેમ એ વિષય પર બોલતા કહ્યા હતા.તેમણે  અનેક ઉદાહરણો આપીને જણાવ્યું હતું કે વિદેશમાં વસતા ગુજરાતીઓ અહીંની બેંકો શેરબજાર ,જમીન , રીઅલ એસ્ટેટ ,તેમજ વિવિધ ઉદ્યોગોમાં તો કરોડો રૂપિયા રોકે જ છે પણ સાથે સાથે સેવાકીય પ્રવૃતિઓ માટે પણ ઉદાર હાથે કરોડો રૂપિયાની સખાવત આપે છે.તેમણે જીકર કરી  હતી કે દરિયાપાર વસતા ગુજરાતીઓની સજ્જતા ( સ્કિલ ) અને સંવેદનાનો ગુજરાતના ગામોનો ઉત્કર્ષ માટે વિનિયોગ કરવાની જરૂરિયાત છે.

આ પ્રસંગે મનનીય અને વિચાર પ્રેરક આવકાર પ્રવચન કરતા આયના સંસ્થાના પ્રમુખ શ્રી સુનિલ નાયકે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ગૌરવ થાય તે રીતે ગુજરાતી ડાયસ્પોરા સક્રિય છે.આમ છતાં હજી ઘણા પ્રશ્નો છે.ઘણું કામ કરવાનું બાકી છે.

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ શ્રી રામ ગઢવીએ અમેરિકામાં જુદા જુદા સ્તરે કાર્ય કરતી ભારતીય -ગુજરાતી સંસ્થાઓની જીકર કરીને જણાવ્યું હતું કે દરિયાપારના ગુજરાતીઓ ભાષા -સાહિત્ય -કલા -સમાજસેવા ,ઈત્યાદિમાં સતત સક્રિય રહે છે.

કાર્યક્રમની ભૂમિકા બાંધતા ધરોહર ફાઉન્ડેશન ( ધર્મજ ડે ) ના શ્રી રાજેશ પટેલે ધર્મજ અને ચરોતરના વતનપ્રેમી એનઆરજી સમુદાયની પ્રેરક વાતો ઉદાહરણ આપી ધર્મજ ડે ની ઉજવણીની યથાર્થતા માટે આનંદ વ્યક્ત કર્યો હતો.

આભાર પ્રવચન કરતા એનઆરઆઈ પેરેન્ટ્સ એશોશિએશન અમદાવાદના પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ પ્રકારના ઉપક્રમો એનઆરઆઈ સમુદાય માટે કામ કરતી સંસ્થાઓને વેગવંતી કરતા હોવાથી નિયમિત રીતે તેનું આયોજન થવું જોઈએ.

કાર્યક્રમના પ્રારંભમાં જય જય ગરવી ગુજરાતનું ગાન થયું હતું.જયારે એક પંજાબી ભાષાના ગાનથી કાર્યક્રમનું સમાપન થયું હતું.કાર્યક્રમ આશરે પોણા બે કલાક ચાલ્યો હતો.જેમાં વિશ્વના ઘણા દેશોમાંથી લોકો જોડાયા હતા.

સમગ્ર વેબિનારનું ટેક્નિકલ સંચાલન શ્રી નીપેશભાઈ પંડ્યા તથા શ્રી આલાપ તન્નાએ સાંભળ્યું હતું.

પોઝિટિવ મીડિયા માટે આલેખન શ્રી રમેશ તન્ના ( 9824034475 )એ કર્યું હતું.

(3:16 pm IST)