મુખ્ય સમાચાર
News of Wednesday, 16th January 2019

સ્નાન વેળા બધા સાધુ-સંતોનું ઠાઠબાટ રાજાઓ જેવું હોય છે

ઠાઠબાટના કારણે આને શાહી સ્નાન કહેવાય છે : સંતો હાથી-ઘોડા અને સોના-ચાંદીની પાલખીમાં જાય છે

પ્રયાગરાજ, તા. ૧૫ : પ્રયાગરાજમાં શરૂ થયેલા ભવ્ય કુંભ મેળામાં કરોડો લોકો પહોંચનાર છે. પ્રથમ શાહી સ્નાન સાથે આજે આની શરૂઆત થઇ હતી. તમામ ૧૩ અખાડાના શાહી સ્નાન માટે ક્રમ પણ પહેલાથી જ નક્કી કરવામાં આવે છે તે પહેલા કોઇપણ સ્નાન માટે નદીમાં ઉતરી શકે નહીં. કેટલીક વખત શાહી સ્નાનને લઇને સંતો વચ્ચે સંઘર્ષની સ્થિતિ પણ જોવા મળી ચુકી છે. શાહી સ્નાનની પરંપરા સદીયો જુની રહેલી છે. એમ માનવામાં આવે છે કે, શાહી સ્નાનની પરંપરા ૧૪મીથી લઇને ૧૬મી સદી વચ્ચે થઇ હતી. તે વખતે દેશમાં મોગલ શાસકો આવવાની શરૂઆત થઇ હતી. ધીમે ધીમે આને લઇને સાધુ-સંતો ઉગ્ર થવા લાગી ગયા હતા. મોગલ શાસકોએ સ્થિતિને હળવી કરવા બેઠક કરીને કામ વહેંચી દેવાનો નિર્ણય કર્યો હતો. સાધુ-સંતોને સન્માન આપવા અને તેમને ખાસ અનુભવ થાય તે માટે સૌથી પહેલા સ્નાનની તક તેમને આપવાનો નિર્ણય કરાયો હતો. આ સ્નાનના ગાળા દરમિયાન સાધુ-સંતોનું સન્માન અને ઠાઠબાટ રાજાઓ જેવું રહે છે જેથી આને શાહી સ્નાન કહેવામાં આવે છે. મોડેથી શાહી સ્નાનને લઇને અખાડામાં સંઘર્ષની શરૂઆત થઇ હતી. અનેક વખત રક્તપાત પણ થઇ ચુક્યા છે. શાહી સ્નાન દરમિયાન સાધુ-સંતો હાથી ઘોડા અને સોના ચાંદીની પાલખીઓમાં બેસીને પણ પહોંચે છે. ખાસ મુહુર્ત પહેલા સાધુ-સંતો ત્રિવેણી સંગમ ઉપર એકત્રિત થાય છે. એમ માનવામાં આવે છે કે, મુહુર્ત વેળા નદીમાં પવિત્ર સ્નાન કરવાથી અમૃત પ્રાપ્ત થાય છે.

(12:00 am IST)