હરિયાણાના કેડરના સતત બદલીથી પરેશાન IAS અધિકારીએ ખેમકાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની વાત લેખીતમાં મુકી : અશોક ખેમકાની પ૩ મી વખત બદલી કરાઇ છે : ઇમાનદાર અધિકારીને મામુલી કામ સોંપાતુ હોવાની ફરીયાદ કરી
નવી દિલ્હી : હરીયાણા કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી અશોક ખેમકાની 53મી વાર થયેલ ટ્રાન્સફરથી પરેશાન થઈને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને પત્ર લખ્યો છે. અશોક ખેમકાએ સીએમને પત્ર લખીને કહ્યું કે, દબાણ લાવનારા અધિકારીઓ તો ફૂલી-ફાલી રહ્યા છે, જ્યારે ઈમાનદારને મામૂલી ભૂમિકાઓ આપવામાં આવે છે. ત્રણ દસકામાં ખેમકાની આ 53મી બદલી છે. વર્ષ 1991ની બેચના અધિકારીએ ખટ્ટરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા દેવાની મંજૂરી આપવા કહ્યું છે.
હરીયાણા સરકારે ગયા મહિને ખેમકાની બદલી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગથી પુરાતત્વ વિભાગમાં કરી દીધી હતી. ખેમકાએ લખ્યું કે, દબાણમાં રહેતા અને ભ્રષ્ટ અધિકારી સક્રીય સેવા દરમિયાન ખૂબ ફૂલે-ફાલે છે અને સેવાનિવૃત્તિ બાદ પણ પુરસ્કાર મેળવે છે, જ્યારે ઈમાનદારને નાના અને મામૂલી કામ સોંપવામાં આવે છે જે નીચલા રેંક માટે ઉપયુક્ત થાય છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટને ત્યાં સુધી કઠેડામાં ઉભા કરવામાં નથી આવતા જ્યાં સુધી તે શાસકોના હિતો પર પ્રહાર ન કરે.
ખેમકાએ કહ્યું, શાસન હવે સેવાનું નહીં પણ ધંધાનું કામ બની ગયું છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, મારા જેવા મૂર્ખ લોકો જ જનતાના વિશ્વાસ અંગે વિચારશે અને વિશ્વાસપાત્ર તરીકે કામ કરશે. હું આશા રાખું છું કે તમે આ પત્રને કચરાપેટીમાં ના ફેંકી દો. ખેમકાએ તેમના પત્રમાં યાદ અપાવી દીધું કે ભાજપે ભૂતકાળની કોંગ્રેસ સરકારની 2014ની ચૂંટણી દરમિયાન જમીન સોદામાં કથિત ગેરરીતિઓ એક મોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ તે હવે ભૂલાઈ ગયો છે.