શાંતિ જાળવી રાખવા માટે મમતા બેનર્જીનો અનુરોધ
હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી થશે : મમતા બેનર્જી : કાનુન પોતાના હાથમાં ન લેવા દેખાવકારોને અપીલ થઈ
કોલકત્તા, તા. ૧૪ : નાગરિક સુધારા બિલને લઈને પશ્વિમ બંગાળ સહિત દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે શાંતિ જાળવી રાખવા લોકોને અપીલ કરી હતી. સાથે સાથે કહ્યું હતું કે, હિંસામાં સામેલ રહેલા લોકો સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કાનુને પોતાના હાથમાં ન લેવા લોકોને મમતા બેનર્જી તરફથી અપીલ કરવામાં આવી છે. રસ્તાને રોકવા અને સામાન્ય લોકોને તકલીફ થાય તે પ્રકારની ગતિવિધીમાં સામેલ ન રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે.
સરકાર હિંસામાં સામેલ રહેલા તમામ દોષિતો સામે કાર્યવાહી કરશે. બંગાળમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. દેખાવ કારો માર્ગો ઉપર જામ કરીને હિંસા ઉપર ઉતરેલા છે. ૧૫થી વધુ બસને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પોલીસની એક વેનને પણ ફુંકી મારવામાં આવી છે. સ્ટેશન માસ્ટરના રૂમમાં તોડફોડ કરવામાં આવી છે. રેલ્વે સ્ટેશન પર સિંગ્નલ કેબિનને તોડી પાડવામાં આવ્યું છે. દેખાવકારો ખુબ આક્રમક બનેલા છે.