મુખ્ય સમાચાર
News of Saturday, 15th December 2018

મધ્યપ્રદેશ : મુખ્યમંત્રી તરીકે ૧૭મીએ કમલનાથના શપથ

લાંબી ખેંચતાણ બાદ આખરે કમલનાથે બાજી મારી : રાજ્યપાલને મળીને સરકાર બનાવવા માટેનો દાવો કર્યો

ભોપાલ, તા. ૧૪ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથની ૧૭મી ડિસેમ્બરના દિવસે તાજપોશી કરવામાં આવશે. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથ ૧૭મીએ શપથ લેશે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ આજે સવારે કમલનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા માટે પહોંચ્યા હતા. આનંદીબેન પટેલને મળીને કમલનાથે ધારાસભ્યોની યાદી સોંપી હતી. ત્યારબાદ રાજ્યપાલે કમલનાથને મુખ્યમંત્રી બનવા માટે નિયુક્તિપત્ર સુપ્રત કર્યો હતો. રાજ્યપાલને નિયુક્તિપત્ર મળી ગયા બાદ કમલનાથે બહાર આવીને નિયુક્તિપત્ર દર્શાવ્યો હતો. ત્યારબાદ કમલનાથે જાહેરાત કરી હતી કે, ૧૭મી ડિસેમ્બરના દિવસે ભોપાલના લાલ પરેડ મેદાનમાં તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. મુખ્યમંત્રી પદને લઇને કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે વિવાદ થયેલો હતો પરંતુ મોડી રાત્રે કમલનાથે બાજી મારી લીધી હતી. રાજ્યપાલ પાસેથી મુખ્યમંત્રીની નિમણૂંક અંગેનો પત્ર મળી ગયા બાદ કમલનાથ ખુબ ખુશખુશાલ દેખાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિં ચૌહાણે પણ કમલનાથને શુભેચ્છા પાઠવી હતી. શિવરાજસિંહે કહ્યું હતું કે,  તેઓ શુભેચ્છા પાઠવે છે. મધ્યપ્રદેશના લોકોની કલમનાથ સારી રીતે સેવા કરે તેવી ઇચ્છા છે. પ્રજાની વચ્ચે જીવન વધુ સરળ બને તેમ તેઓ ઇચ્છે છે. જનકલ્યાણકારી યોજનાઓ જારી રાખીને કમલનાથ લોકોને રાહત પહોંચાડે તેમ એમે ઇચ્છી છીએ. પ્રદેશ અને પ્રદેશસીઓના હિતમાં ભાવિ સરકાર કામ કરે તેવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. સિંધિયાએ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખુબ મહેનત કરી હતી પરંતુ આખરે કમલનાથે બાજી મારી લીધી છે.

(12:00 am IST)