સીઆઇએસએફનાં જવાને દહેજમાં મળેલા 11લાખ પાછા આપી દીધા : માત્ર એક નારિયેળ લીધું : ચોમેર પ્રસંશા
યુવતીનાં પિતાની આંખમાં ખુશીનાં આસું આવી ગયા.
જયપુર: સીઆઇએસએફનાં એક જવાનને દહેજમાં મળેલા 11લાખ રૂપિયા તેણે પાછા આપી દીધા અને તેના બદલે નવવધુનાં માતા-પિતા પાસેથી દહેજનાં રૂપમાં માત્ર એક નાળીયેર લીધું યુવકનાં આ પગલાની ચોમેર પ્રસંશા થઇ રહી છે.
વરરાજા જીતેન્દ્ર સિંહ ખુશ છે કે તેની પત્ની એલએલબી અને એલએલએમ ગ્રેજ્યુએટ છે અને હાલ પીએચડી કરી રહી છે.જીતેન્દ્ર સિંહનાં માતા-પિતાનું કહેવું છે કે તે પોતાની પુત્રવધુને આગળ અભ્યાસ કરાવશે અને તેમની ઇચ્છા તેને ઉચ્ચ અધિકારી બનાવવાની છે.
જીતેન્દ્ર સિંહનાં લગ્ન 8નવેમ્બરનાં દિવસે થયા હતાં,લગ્ન દરમિયાન નવવધુનાં પિતાએ જીતેન્દ્ર સિંહને સુકનરૂપે 11લાખ રૂપિયા ભરેલો થેલો આપતા લગ્નોત્સુક યુવકે હાથ જોડી લીધા અને તેની સાથે જ પૈસા ભરેલો થેલો પાછો સુપ્રત કરી દીધો,ત્યાર બાદ યુવતીનાં પિતાની આંખમાં ખુશીનાં આસું આવી ગયા.
યુવકે કહ્યું કે 'ચંચળ(નવવધુ)રાજસ્થાન ન્યાયિક સેવાની તૈયારી કરી રહી છે અને જો તે મેજીસ્ટ્રેટ બની જશે તો મારા પરિવાર માટે રૂપિયાથી વધુ તે મુલ્યવાન હશે,'
યુવતીનાં પિતા ગોવિંદ સિંહ શેખાવતે જણાવ્યું કે'જ્યારે તેમણે રૂપિયા પાછા આપ્યા તે વખતે હું ગભરાઇ ગયો હતો,મને લાગ્યું કે યુવકનો પરીવાર ક્યાંક આ લગ્નના આયોજનથી નાખુશ તો નથી ને જો કે અમને ખબર પડી કે યુવકનો પરીવાર દહેજપ્રથાનો સખત વિરોધી છે.'