અલીગઢ મુસ્લિમ યુનિ.માં કાશ્મીરી વિદ્યાર્થીઓની હેરાનગતિઃ શ્રીનગરમાં જંગી મોરચોઃ ધારાસભ્યની અટક
૩ વિદ્યાર્થી સામે દેશદ્રોહનો આરોપઃ ભારત વિરોધી નારા લગાવ્યા'તા
શ્રીનગર તા.૧૫: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કાશ્મીરી વિદ્યાર્થીઓના ટેકા માટે રવિવારે એક વિરોધ મોર્ચો કાઢવા માટે લાનગેટ પાસેથી ધારાસભ્ય શેખ અબ્દુલ રાશીદની ધરપકડ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે એએમયુના ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓ વિરૂદ્ધ દેશદ્રોહના આરોપ હેઠળ શુક્રવારે કેસ દાખલ કરાયો હતો.
કહેવાતા ભારત વિરોધી નારા લગાવવા અને ઉત્તર કાશ્મીરમાં એક ઝપાઝપીમાં માર્યા ગયેલ હિઝબુલ મુજાહિદ્દીનના કમાંડર મન્નાન બશીર વાણી માટે નમાઝે જનાઝા આયોજીત કારવાની કોશીષ કરવા માટે આ ત્રણ કાશમીરી વિદ્યાર્થીઓ વિરૂદ્ધ દેશદ્રોહનો આરોપ હેઠળ કેસ દાખલ કરાયો હતો.
તેમણે જણાવ્યું કે પ્રદર્શનકારીઓ જયારે એએમયુના વિદ્યાર્થીઓના ટેકા માટે નારા લગાવી રહયા હતા. ત્યારે પોલીસે તેમને રોકીને પ્રદર્શનકારીઓ અને એઆઇપી પ્રમુખની ધરપકડ કરી હતી.
વિરોધ મોર્ચો કાઢતા પહેલા પત્રકારો સાથે વાત કરતા રાશિદે કહયું કે વાની સહિત કોઇના પણ માટે નમાઝ-એ-જનાઝા આયોજીત કરવાનું ગુનો નથી, ઉલ્ટાનું તે ધાર્મિક ફરજ છે.
તેમણે આક્ષેપ મુકતા કહયું કે, એએમયુ પ્રશાસને સ્થાનિક ભાજપા નેતાઓના દબાણથી કાશ્મીર વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહ હેઠળ કેસ કર્યો છે. કાશ્મીરી વિદ્યાર્થીઓને તે કાશ્મીરી હોવાના કારણે નિશાન બનાવાયા છે. અને ભારતમાં કાશ્મીરી હોવું તે ગુનો બની ગયો છે.