તહેવારની સીઝનમાં ફરી વધશે DA ?
કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ : ૨૮ ટકાથી વધી ૩૧ ટકા થવાની શકયતા
નવી દિલ્હી તા. ૧૫ : તાજેતરમાં મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપતા મોંઘવારી ભથ્થું (ડીએ) ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કર્યું છે. હવે દિવાળી પહેલા ફરી કર્મચારીઓ માટે કેન્દ્ર તરફથી મોટી જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર તહેવારોની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. લાખો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૨૮ ટકાથી વધીને ૩૧ ટકા થઈ શકે છે. આ અંગે હજુ સુધી કોઈ સત્ત્।ાવાર નિવેદન આવ્યું નથી.
કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં ફરીથી વધારો કરવા માટે તૈયાર છે. અગાઉ ઓગસ્ટમાં કેન્દ્રએ તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ૭ માં પગાર પંચ હેઠળ DA માં વધારો કર્યો હતો. જુલાઈ ૨૦૨૧ થી DA ૧૭%થી વધારીને ૨૮% કરવામાં આવ્યું હતું . હવે તાજેતરના અહેવાલો અનુસાર DAમાં ફરી વધારો થવાની સંભાવના છે.
કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધીને ૩૧ ટકા થઈ શકે છે. એટલે કે કર્મચારીઓનો DA ત્રણ ટકા વધી શકે છે. જુલાઈ ૨૦૨૧ માટે મોંઘવારી ભથ્થું (DA) હજી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ જાન્યુઆરીથી મે ૨૦૨૧ માટે AICPI આંકડાથી ખબર પઢી છે તો તે ૩ ટકા સુધી વધી શકે છે. આ વધારો દિવાળી સુધી મળી શકે છે.
જાન્યુઆરી ૨૦૨૦ માં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી, બીજા અડધા (જૂન ૨૦૨૦) માં તેમાં ત્રણ ટકાનો વધારો થયો હતો. જાન્યુઆરી ૨૦૨૧ માં તેમાં ચાર ટકાનો વધારો થયો હતો. આ રીતે ડીએ ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કરવામાં આવી હતી. જો કે, સરકારે કોરોનાને કારણે ગયા વર્ષે જાન્યુઆરીથી તેના પર પ્રતિબંધ મૂકયો હતો. હવે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.