હિન્દુ સેનાએ દિલ્હીના બંગાળી માર્કેટ નજીક બાબર રોડ પર બોર્ડને કાળી શાહી લગાવી
રોડનું નામકરણ મુઘલ આક્રમણકારીના બદલે કોઈ અન્ય મહાપુરૂષના નામ પર કરવા માંગ કરી
નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્તારમાં બંગાલી માર્કેટ નજીક બાબર રોડ લખેલા બોર્ડ ઉપર હિન્દુ સેનાના કેટલાક લોકોએ કાળી શાહી લગાવી હતી. હિન્દુ સેનાએ દિશા દર્શાવતું બોર્ડને કાળું કરી આ રોડનું નામકરણ મુઘલ આક્રમણકારીના બદલે કોઈ અન્ય મહાપુરૂષના નામ પર કરવા માંગ કરી હતી.
હિન્દુ સેનાના લોકોએ બાબરને આક્રમણકારી અને અત્યાચારી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે દેશ બાબર જેવા અત્યાચારીઓનો નથી. આ દેશ શ્રીરામ અને શ્રીકૃષ્ણનો છે. હિન્દુ સેનાએ સરકાર સમક્ષ માંગ કરી કે આ રોડનું નામ બાબરના બદલે અન્ય મહાપુરૂષના નામ ઉપર રાખવું જોઈએ. દિલ્હી સેન્ટ્રલ સ્થિત બાબર રોડ લખેલી તખ્તી પર કાળી શાહી લગાવીને હિન્દુ સેનાએ વિરોધ દર્શાવ્યો હતો.
હિન્દુ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'વિદેશી આક્રમણકારીના નામે બાબર રોડ છે તેનું નામ બદલીને ભારતના કોઈ મહાપુરૂષના નામે કરવું જોઈએ. આ દેશ શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહર્ષિ વાલ્મીકિ તેમજ સંત રવિદાસ જેવા લોકોનો છે નહીં કે બાબર જેવા અત્યાચારીઓનો.'