મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

૧૯૮૩માં મારૂતિની પહેલી કારનું નિર્માણ જ્યાં થયું હતુ તે ગુરગાંવમાંથી કંપનીનો પહેલો પ્લાન્ટ બંધ કરીને અન્‍ય સ્‍થળે ખસેડાશે

 

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર મેકર કંપની મારુતિ સુઝુકીએ શુક્રવારે જાહેરાત કરી કે, ગુરગાંવમાં આવેલો કંપનીનો પહેલો પ્લાન્ટ બંધ કરીને અન્ય સ્થળે ખસેડાશે. ટ્રાફિકની વધતી સમસ્યા અને જગ્યાની સંકડાશને કારણે નિર્ણય ટાળી શકાય તેમ નથી. કંપનીના પ્રતિનિધિઓએ તાજેતરમાં હરિયાણા સરકારના કેટલાક અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ગુરગાંવના પ્લાન્ટને રિલોકેટ કરવા માટેની જગ્યા શોધવાના હેતુથી મુલાકાત કરી. કંપનીની ઈચ્છા માનેસરમાં આવેલા પ્લાન્ટની આસપાસ પ્લાન્ટને ખસેડવાની છે.

MSIના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યું કે, “ગુરગાંવમાંથી પ્લાન્ટ ખસેડવાનો નિર્ણય ટાળી શકાય તેવો નથી. ક્યારે, કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં નિર્ણય અમલમાં મૂકાશે તે તબક્કે કહેવું મુશ્કેલ છે.” 1983માં કંપનીએ આઈકોનિક કાર મારુતિ 800નું પહેલું મોડલ ગુરગાંવના પ્લાન્ટમાં તૈયાર કર્યું હતું. હાલ ગુરગાંવના પ્લાન્ટમાં વેગનઆર અને અલ્ટો સહિતના કંપનીના પોપ્યુલર મોડલ બનાવવામાં આવે છે. અહીં અંદાજિત 7 લાખ યુનિટ વર્ષમાં તૈયાર થાય છે.

ગુરગાંવમાં ઝડપથી થયેલા વિકાસના કારણે શહેરની મધ્યમાં આવેલા પ્લાન્ટમાં ટ્રક દ્વારા કાચો માલ પહોંચાડવાની અને તૈયાર થયેલી પ્રોડક્ટ બહાર લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો અને સત્તાધારીઓના મતે પ્લાન્ટના લોકેશનના કારણે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે. ગુરગાંવ સિવાય હરિયાણાના માનેસરમાં પણ કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે. ગુરગાંવ અને માનેસરની કુલ ઉત્પાદન ક્ષમતા હાલ 15.5 લાખ યુનિટ છે.

મારુતિ સુઝુકી મોટર કોર્પે ગુજરાતમાં પણ પ્લાન્ટ સ્થાપ્યો છે. 2.5 લાખની ઉત્પાદન ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં સંપૂર્ણ પ્રોડક્શન થાય છે. ગુજરાતમાં કંપનીનો બીજો પ્લાન્ટ આવતા વર્ષ સુધીમાં શરૂ થઈ જશે. ત્રીજા પ્લાન્ટનું કામ પણ શરૂ થઈ ગયું છે અને 2020 સુધીમાં પૂરું થવાની આશા છે. 2025 સુધીમાં વાર્ષિક 3 મિલિયન યુનિટ બનાવવાનો MSIનો ટાર્ગેટ છે.

(4:45 pm IST)