'કોઢના દર્દીઓને મળશે દિવ્યાંગનો દરજ્જો, અનામત કવોટામાંથી આપો લાભ': સુપ્રીમ કોર્ટ
કોઢ (રકતપિત)ના દર્દીઓને દિવ્યાંગનો દરજ્જો આપવા માટેની એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે
નવી દિલ્હી, તા.૧૪: કોઢ (રકતપિત) ના દર્દીઓને દિવ્યાંગનો દરજ્જો આપવા માટેની એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઢના રોગીઓને પણ હવે દેશમાં દિવ્યાંગનો દરજ્જો આપવામાં આવશે અને દિવ્યાંગના અનામત કોટામાંથી તેમને લાભ આપવામાં આવશે.
કેન્દ્ર અને રાજય સરકાર આપે પ્રમાણપત્ર
સુપ્રીમ કોર્ટે તેમના પુર્નવસન માટે કેન્દ્ર સરકાર તથા તમામ રાજય સરકારોને આદેશ જારી કરીને કહ્યું છે કે કોઢના રોગીઓને વિકલાંગતાની સૂચિમાં દાખલ કરી નોટિફિકેશન જારી કરવામાં આવે અને કોઢના રોગીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવે.
કોઢના રોગીઓને મળશે BPL કેટેગરીના રાશનકાર્ડ
કોઢના તમામ દર્દીઓ માટે કોર્ટે બીપીએલ કેટેગરીવાળા રાશનકાર્ડ બનાવવા માટે કહ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે તેમને વિના મૂલ્યે દવાઓ મળે અને તેમની સાથે કોઈ ભેદભાવ કરવામાં ન આવે.(૨૩.૧૩)