મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

મસ્જિદમાં ઉઘાડા પગે પહોંચ્યા મોદી : મહોર્રમની મજલિસમાં પણ સામેલ થયા

વડાપ્રધાન મોદીએ ઇન્દોરમાં દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયના ૫૩માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે કાર્યક્રમમાં ભાગ લીધોઃ માતમ દરમિયાન વાંચવામાં આવતા મરસિયા અને સૈયદનાની મજલિસને પણ સાંભળીઃ ઇમામ હુસેનના અમન અને ઇન્સાફને યાદ કર્યા : મોદીએ હઝરત ઇમામ હુસેનની શહાદતના સ્મરણોત્સવ 'આશરા મુબારકા'માં ઉપસ્થિત સમુદાયને કર્યું સંબોધન : વ્હોરા સમાજ સૌને સાથે લઇ ચાલે છે : વ્હોરા સમુદાયની રાષ્ટ્રભકિત મિસાલ હોવાનું જણાવ્યું

ઇન્દોર તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્દોરમાં દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયના ૫૩માં ધર્મગુરૂ સૈયદના મુફફદલ સૈફુદ્દીન સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. પી.એમ. મોદીએ ઉઘાડાપગે સૈફી મસ્જિદમાં પ્રવેશ કર્યો હતો અને મજલિશમાં સામિલ થયા હતા. તેમણે વ્હોરા સમુદાયના વખાણ કરતા તેમની રાષ્ટ્રભકિતને દેશ માટે મિશાલ ગણાવી હતી. આ કાર્યક્રમ હઝરત ઇમામ હુસેનની શહાદતના સ્મરણોત્વ 'અશરા મુબારકા'માં યોજાયો હતો. વ્હોરા સમાજના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે મર્હોરમની મજલિશમાં કોઇ વડાપ્રધાન શામિલ થયા હોય. તેમણે આ પ્રસંગે જનસમુદાયને સંબોધન પણ કર્યું હતું. મોદીએ વ્હોરા સમુદાયના કાર્યક્રમમાં પહોંચીને એક મોટો દાવ પણ ખેલ્યો છે. મર્હોરમના મહિનામાં ઇમામ હુસેનની સહાદતમાં થનારા માતમમાં તેઓ શામિલ થયા અને કહ્યું કે, ઇમામ હુસેન અમન અને ઇન્સાફ માટે શહિદ થયા હતા. આ થકી માનવામાં આવે છે કે શીયા મુસ્લિમોને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કર્યો છે. વ્હોરા સમુદાય વચ્ચે પહોંચુ અને ઇમામ હુસેનની સહાદતમાં મનાવવામાં આવતા માતમમાં શામિલ થવું શીયા મુસ્લિમોને એક મોટો સંદેશ છે. ૨૦૧૯ની ચૂંટણી હેઠળ શીયા મુસ્લિમોને પોતાની તરફ ખેંચવા પ્રયાસ હેઠળ જોવામાં આવે છે. મોદીએ આજે માતમ દરમિયાન વાંચવામાં આવતા મરસિયા અને સૈયદનાની મજલિશને પણ સાંભળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલી સૈફી મસ્જિદની મુલાકાત લીધી. વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મરિજદના દરવાજા પર જ વડાપ્રધાન મોદીનું નેતૃત્વ કર્યું અને તેમને મંચ સુધી લઇને આવ્યા. પીએમ મોદીને ગળે મળીને સૈયદના એ સૈફી મસ્જિદમાં તેનું સ્વાગત કર્યું. કાર્યક્રમને સંબોધિત કરીને પીએમ મોદીએ કહ્યું કે, તમે વિશ્વમાં આપણી વસુધૈવ કુટુંમ્બકમની પરંપરાને આગળ વધારી રહ્યા છો. પીએમ મોદીએ સ્વચ્છ ભારતનો ઉલ્લેખ કરી કહ્યું કે, આપણે આપણા હૃદય અને આત્માને પણ સ્વચ્છ રાખવાનું છે.

દાઉદી વ્હોરા સમુદાયની પ્રશંસા કરીને પીએમ મોદીએ કહ્યું 'ઇમામ હુસૈનના પવિત્ર સંદેશને તમે તમારા જીવનમાં ઉતર્યાો છે અને સદીઓથી દેશ અને વિશ્વ સુધી પૈગામ પહોંચાડયો. ઇમામ હુસૈન શાંતિ અને ન્યાય માટે શહીદ થયા. તેઓએ અન્યાય અને અહંકાર વિરૂધ્ધ પોતાની અવાજ બુલંદ કરી હતી. તેમની આ શીખ ત્યારે જરૂરી હતી. એટલી જ આજના વિશ્વ માટે મહત્વની છે.'

પીએમ મોદીએ કહ્યું કે, આ પરંપરાઓને મુખરતા પ્રચારિત કરવાની આવશ્યકતા છે મને વિશ્વાસ છે કે, સૈયદના સાહેબ અને વ્હોરા સમાજનો એક-એક વ્યકિત તેમાં જોડાયેલો છે. પીએમ મોદીએ કહ્યું કે, વસુધૈવ કુટુંમ્બકમની આપણા સમાજ અને વિરાસતની શકિત છે કે, આપણે વિશ્વના અન્ય દેશો સાથે અલગ ઓળખ મળે છે. તેઓએ કહ્યું કે, અમારી આ પરંપરાને વ્હોરા સમાજ સમગ્ર વિશ્વને અવગત કરાવી રહ્યું છે. વધુમાં ઉમેર્યું કે, હું વિશ્વમાં જ્યાં પણ ગયો ત્યાં શાંતિ અને વિકાસ માટે તેમના સમાજની યોગદાનની વાતો જરૂરથી કરૃં છું. શાંતિ, સદ્ભાવ, રાષ્ટ્રવાદ અને સૌહાર્દ પ્રત્યે વ્હોરા સમુદાયની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ છે.

વોહરા સમાજના ૫૩માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને આ દરમિયાન વડાપ્રધાન મોદીની જોરદાર પ્રશંસા કરી. તેઓએ કહ્યું કે આજે ઈમામ હુસૈનની શહાદતની યાદમાં વડાપ્રધાન આપણાં ગમમાં સામેલ થયાં તે મોટી વાત છે. તેઓએ કહ્યું કે અલ્લાહ વડાપ્રધાન મોદીને આપણાં વતનને આગળ લાવવાની શકિત આપે. ધર્મગુરૂએ વધુમાં કહ્યું કે, વતન સાથે વફાદારી, કાયદામાં ભાગીદારી જ ભારતના મુસલમાનોનો ઈમાન છે. વોહરા ધર્મગુરૂએ કહ્યું કે મુસલમાનોને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના દરેક વિસ્તારમાં પ્રેમ મળે છે.

મોદીએ આગળ કહ્યુ હતુ કે જયારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે આ સમાજે હંમેશા મને સાથ આપ્યો છે. કેટલીય વખત હું તેમના ધર્મગુરુને મળવા માટે ગયો છું. આજે સરકાર દેશના કરોડો ગરીબોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. વહોરા સમાજે પણ સ્વાસ્થ્ય માટે સમાજને મદદ કરી છે. આયુષ્માન ભારત થકી દેશના ૫૦ કરોડો લોકોને મેડિકલની મફત સુવિધા મળશે.

તેમણે કહ્યુ હતુ કે વહોરા સમાજના લોકોએ ૧૧૦૦૦ લોકોને ઘર આપ્યા છે. અમારી સરકાર પણ ૨૦૨૨ સુધીમાં તમામને ઘર આપવા માંગે છે. અત્યાર સુધીમાં અમારી સરકારે ૧ કરોડ લોકોને ઘરોની ચાવી સોંપી છે.

(3:36 pm IST)