યુપીમાં તિરંગા યાત્રા દરમિયાન બબાલ: ઘર અને દુકાનો ઉપર પથ્થરમારો: પોલીસ તૈનાત
લખનૌ:ઉત્તર પ્રદેશના લખનઉમાં આઝાદીના જશ્નની વચ્ચે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન બંગલા બજારની દુકાનો અને મકાનો પર પથ્થરમારો થયો હતો. આ ઘટનાના કેટલાય વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકો દુકાનો અને મકાનો પર પથ્થરમારો કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. ઘટનાસ્થળેથી મળેલી વિગતો અનુસાર કેટલીય ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. સ્વતંત્રતા દિવસના અવસર દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. લખનઉમાં પણ આવી રીતે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી હતી, ત્યારે આ પ્રકારની બબાલ થઈ હતી.
ઘટનાસ્થળેથી મળી રહેલા વીડિયોમાં ઈંટ અને પથ્થર પણ દેખાઈ રહ્યા છે. પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિ કંટ્રોલમાં કરવાની કોશિશ કરી રહી છે. જેમાં કેટલાય લોકો ભાગતા પણ દેખાઈ રહ્યા છે. આ દરમિયાન પોલીસ ઘણા લોકોને સમજાવતી હોવાનું પણ દેખાય છે. આ ઘટના 15 ઓગસ્ટ સવારના સમયે થઈ હતી.
વીડિયોમાં લોકો એવું કહેવાય સંભળાય છે કે, તમે બધાં અંદર જતાં રહો, રસ્તા પરથી હટી જાઓ. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સવારના સમયે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ અમુક લોકોએ બજારમાં આવીને પથ્થરમારો કર્યો હતો. બંને જૂથના લોકોના હાથમાં પથ્થરાઓ હતા. જ્યારે અમુક લોકોએ કહ્યું હતું કે, અચાનક પથ્થરમારો શરુ કર્યો હતો, જે બાદ અફરાતફરી મચી ગઈ હતી.