સ્વાતંત્રદિનપૂર્વે નાગાલેન્ડમાં ફરી અલગ બંધારણ અને ધ્વજની માંગ ઉઠી
નાગાલેન્ડ : એક બાજુ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો રદ કરી અને કલમ 370- અને 35-A નાબુદ કરી છે ત્યારે રાજ્યના પૂર્વોતર છેડે આવેલા નાગાલેન્ડમાં અલગાવવાદના સૂરો ફરી ઉઠ્યા છે. ગઈકાલે નાગાલેન્ડના સ્વાતંત્ર્યદિન નીમિતે રાજ્યના અલગાવવાદી જૂથ નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ NSCN (IM)એ અલગ બંધારણ અને અલગ ધ્વજની માંગણી કરી હતી. રાજ્યના કેમ્બ હેબ્રોન ખાતે યોજાયેલા એક સમારોહમાં જૂથે આરપારની લડાઈ લડવાનો હુંકાર પણ ભર્યો હતો.
73માં નાગા સ્વાતંત્ર્યદિનના સંબોધનમાં NSCN IM મોરચના પ્રેસીડેન્ટ ક્યૂ. ટુક્કુએ જણાવ્યું, “અમારી માંગણી અલગ ધ્વજ અને અલગ બંધારણની છે. જો કેન્દ્ર અમારી માંગણી નહીં સ્વીકારે તો તેના અન્ય રસ્તાઓ પણ છે. અમે અમારી માંગણીઓને લઈને ઘૂંટણીયે નહીં પડીએ.” ભારતે સરકારે વર્ષ 2015માં 3જી ઑગસ્ટે ઐતિહાસિક કરાર પર સહી કરી છે, પરંતુ તેઓ નાગાલેન્ડની રાજકીય સમસ્યાઓ દૂર કરવાના સ્થાને તેને વકરાવી રહી છે.
ટુક્કુએ નાગાલેન્ડના તમામ જૂથોને આ મુદ્દે એક થવાનું આહવાન કર્યુ અને જણાવ્યું કે હું તમામ જૂથ સાથે સંકળાયેલા મારા નાગા ભાઈઓ બહેનોને આહવાન કરૂ છું કે આ મુદ્દે એક થઈએ અને આપણી માંગ માટે લડત ચલાવીએ.