નાપાક પાક. ના રાષ્ટ્રપતિ પછી વડાપ્રધાન ઇમરાનનું પણ ઝેરીલું ઉદબોધન : કહ્યું યુદ્ધ થાશે તો વિશ્વ જવાબદાર : કાશ્મીરમાંથી ધારા 370 દૂર થવાના લીધે ગભરાયેલા ખાને અજાણતા જ સ્વીકાર્યું કે ભારતે બાલાકોટ એર સ્ટ્રાઈકમાં કર્યું છે મોટું નુકસાન
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી ધારા-370 દૂર કરાયા પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનવાસીઓ જોગ કરેલા ઉદબોધનમાં ધમકી આપ્યા પછી હવે વડાપ્રધાન ખાનએ પણ એ જ ભાષામાં ધમકી ઉચ્ચારી છે. ઈમરાન ખાને કહ્યું છે કે, જો ભારત - પાકિસ્તાન યુદ્ધ થયું તો તેના માટે સમગ્ર વિશ્વ જવાબદાર હશે.
ગભરાયેલા વડાપ્રધાન ઈમરાને અજાણતાજ કહી દીધુ કે ભારત હવે કાશ્મીર સુધી જ અટકશે નહી. પીઓકેમાં પણ આગળ વધશે. ઈમરાને બાલાકોટ હવાઈ હુમલાનો પણ સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું કે, "ભારતે બાલાકોટ કરતાં પણ વધુ ખતરનાક પ્લાન બનાવ્યો છે. બાલાકોટ કરતાં પણ મોટી કાર્યવાહી ભારત પીઓકેમાં કરશે. જો યુદ્ધ થયું તો તેની જવાબદારી દુનિયાની રહેશે. અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું."
આ અગાઉ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલ્વીએ પણ ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, ભારતે શિમલા કરાર તોડ્યો છે. હવે તેની સામે જેહાદ થઈ શકે છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓને મદદ કરવાનું ચાલુ રાખશે. અમે ભારતના નિર્ણય સામે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરીશું.