હવે ટ્રેનમાં સુરક્ષાચક્ર :આતંકી કે નક્સલીની ખેર નથી :1200 કોરસ કમાન્ડો તૈનાત કરાશે
કોરસ કમાન્ડો આધુનિક હથિયારો અને તાલીમ સાથે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે.
નવી દિલ્હી ;હવે ટ્રેનમાં પણ સુરક્ષાચક્ર ગોઠવવા તૈયારી થઇ છે રેલવે મુસાફરો અને ટ્રેનોના સંચાલન દરમિયાન સતત વધતાલા આતંકવાદી જોખમને લઈને રેલવેએ સુરક્ષાની દૃષ્ટિએ CORAS એટલે કે રેલવે સિક્યોરિટી કમાન્ડોની તૈનાતી શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં કોરસના 1200 કમાન્ડો દેશભરમાં એ વિસ્તારોમાં તૈનાત કરાશે, જ્યાં આતંકી હુમલાનું જોખમ વધુ છે.
જમ્મુ-કાશ્મીરના એ વિસ્તારોમાં કે જ્યાં ટ્રેનોનું સંચાલન થાય છે ત્યાં, નકસલ પ્રભાવિત રાજ્યો અને પૂર્વોત્તર રાજ્યોમાંથી પસાર થતી ટ્રેનોમાં આ કમાન્ડો સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરશે. NSGની જેમ કપરી ટ્રેનિંગ પછી આ કમાન્ડોની બટાલિયનને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા તૈનાત કરવામાં આવી રહ્યા છે. કોરસ કમાન્ડો દરેક પ્રકારના આતંકવાદી, નકસલી હુમલા, કોઈ પણ ટ્રેનમાં કોઈને બંધક બનાવવાનો પ્રયાસ હોય કે પછી ટ્રેનનું અપહરણ કરવાનો પ્રયાસ હોય, કોઈ પણ પ્રકારની સ્થિતિમાં કાવતરાને નિષ્ફળ બનાવવામાં તેઓ સક્ષમ છે.
રેલવે મંત્રી પીયુષ ગોયલે નવી દિલ્હીમાં તેની શરૂઆત કરતા જણાવ્યું કે, રેલવે તેના મુસાફરોની દરેક પ્રકારે સુરક્ષા કરવા માટે તૈયાર છે. કોરસ કમાન્ડો આધુનિક હથિયારો અને તાલીમ સાથે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સના ડી.જી. અરૂણ કુમારે જણાવ્યું કે, જે રીતે આતંકવાદી હુમલાની આશંકા રહે છે, એ દૃષ્ટિએ રેલવેએ આ પગલું ભર્યું છે. કોરસ કમાન્ડો રેલવેના પ્રવાસીઓની મુસાફરી દરમિયાન સંપૂર્ણ સુરક્ષા કરવા માટે દરેક ક્ષણે તૈયાર રહેશે.