ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને નોટિસ: સોનિયા ગાંધીએ છોડવું પડશે કાર્યકારી અધ્યક્ષપદ
જો 10 ઓગસ્ટ સુધીમાં પ્રમુખની પસંદગી નહિ કરાય તો આયોગ દખલ કરશે
નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની એક વર્ષની મુદત 10 ઓગસ્ટે સમાપ્ત થશે. જેને વધારવા માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની ટૂંક સમયમાં બેઠક યોજાવાની છે. પાર્ટીએ પોતાનો નિર્ણય 10 ઓગસ્ટ સુધીમાં ચૂંટણી પંચને આપવાનો રહેશે.
તાજેતરમાં જ કોંગ્રેસે પંચને કહ્યું હતું કે, કોરોનાને રોકવા માટે 25 માર્ચથી લાગુ થયેલ લોકડાઉનને કારણે નવા પ્રમુખની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાઈ નથી. કમિશન અધિકારીઓ કહે છે કે જો 10 ઓગસ્ટ સુધીમાં પ્રમુખની પસંદગી કરવામાં નહીં આવે તો આયોગ આ મામલે દખલ કરશે.
ચૂંટણી પંચે કોંગ્રેસને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંગે માહિતી માંગવા માટે નોટિસ મોકલી છે. ગયા વર્ષે 10 ઓગસ્ટે સોનિયા ગાંધીએ કાર્યકારી પ્રમુખની જવાબદારી સંભાળી હતી. તે સમયે, પંચને એક વર્ષમાં કાયમી અધ્યક્ષની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું હતું. આયોગે આ મામલે કોંગ્રેસને અપીલ કરી છે.