કંઈક નવું શીખવાની ધગશ રાખો : ધગશ નહીં રાખનાર વ્યક્તિનું જીવન ખુદ માટે બોજારૂપ બની જાય છે : નવો હુન્નર હસ્તગત કરો : યુવા કૌશલ્ય દિન નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન
ન્યુદિલ્હી : આજરોજ 15 જુલાઈ યુવા કૌશલ્ય દિન નિમિત્તે ઉદબોધન કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને કંઈક નવું શીખવાની ધગશ રાખવા અનુરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ધગશ નહીં રાખનાર વ્યક્તિનું જીવન ખુદ માટે બોજારૂપ બની જાય છે.
શ્રી મોદીએ ઉમેર્યું હતું કે નવો હુન્નર હસ્તગત કરો .નિત નવું શીખવાની ધગશ ધરાવતી યુવાન વ્યક્તિ આ માટેની એકપણ તક જવા દેતી નથી.
તેમણે પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે એકવખત એક મોટર મિકેનિકે માત્ર બે મિનિટના કામના 20 રૂપિયા લીધા હતા.તેથી મેં તેમને પૂછ્યું હતું કે માત્ર બે મિનિટના કામના 20 રૂપિયા ? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે આ રકમ બે મિનિટના કામની નથી પરંતુ વર્ષોના અનુભવનું મૂલ્ય છે.
તેઓએ વર્તમાન કોરોના વાઇરસના કહેર વચ્ચે સોશિઅલ ડિસ્ટન્સ , માસ્ક સહિતની સરકારની સૂચનાઓનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો.તથા ગમે તેટલી ઉચ્ચ ડિગ્રી મેળવ્યા પછી પણ નિત નવું શીખવાની ધગશ રાખવા અનુરોધ કર્યો હતો.