સચિન પાયલટનું સમર્થન કરવું ભારે પડ્યું : કોંગ્રસે સંજય ઝાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
નવી દિલ્હી : કોંગ્રેસે સંજય ઝાને પાર્ટી વિરોધી ગતિવિધિ કરવા અને અનુશાસન ભંગ કરવા બદલ પાર્ટીમાંથી તાત્કાલિક ધોરણે હટાવી દીધા છે. ઝાને ગત મહિને જ પાર્ટી વિરુદ્ધ એક લેખ લખવા બદલ પ્રવક્તા પદેથી હટાવી દીધા હતા. સંજય ઝાએ રાજસ્થાનના સમગ્ર ઘટનાક્રમ પર સચિન પાયલોટનું સમર્થન કર્યુ હતું.
તેમણે એક ટ્વીટ કરી સચિન પાયલોટની માગને યોગ્ય ગણાવી હતી, તથા પોતાનું સમર્થન આપ્યુ હતું. તેમણે પાયલોટની યોગ્યતા સાબિત કરવા માટે અમુક આંકડાઓ પણ રજૂ કર્યા હતા.
ગત 18 જૂને કોંગ્રસે અધ્યક્ષા સોનિયા ગાંધીના આદેશ બાદ સંજય ઝાને પાર્ટીની અંદરથી રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. હકીકતમાં તેમણે એક લેખ લખ્યો હતો અને પાર્ટી પર સવાલો કર્યા હતા. તેમણે એવુ પણ કહ્યુ હતું કે, પાર્ટીમાં આંતરિક લોકતંત્રનો અભાવ છે.