વડાપ્રધાન બનવાના આઠ વર્ષની ઊજવણી: પીએમ મોદી 31મીએ શિમલામાં જાહેર સભાને સંબોધન કરશે
હિમાચલ પ્રદેશના ભાજપ પ્રમુખ સુરેશ કશ્યપે કહ્યું કે, પીએમ મોદીના વડાપ્રધાન બનવાની ઊજવણીના ભાગરૂપે શિમલામાં યોજાનારી રેલી વિશાળ અને ઐતિહાસિક હશે.
શિમલા:વડાપ્રધાન મોદી વડાપ્રધાન બનવાના આઠ વર્ષની ઊજવણીના ભાગરૂપે ૩૧મી મેના રોજ શિમલામાં એક જાહેર સભાને સંબોધન કરે તેવી શક્યતા છે તેમ હિમાચલ પ્રદેશના ભાજપ પ્રમુખ સુરેશ કશ્યપે શનિવારે જણાવ્યું હતું.કશ્યપે કહ્યું કે, પીએમ મોદીના વડાપ્રધાન બનવાની ઊજવણીના ભાગરૂપે શિમલામાં યોજાનારી રેલી વિશાળ અને ઐતિહાસિક હશે.
અગાઉ મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે વડાપ્રધાનને કેન્દ્રમાં એનડીએ સરકારના આઠ વર્ષ પૂરા થવા પ્રસંગે હિમાચલ પ્રદેશમાં રાષ્ટ્રીય સ્તરનું સમારંભ યોજવા વિનંતી કરી હતી. ઠાકુર બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં રાષ્ટ્રીય સ્તરનો સમારંભ યોજાશે, જેમાં દેશના બધા જ જિલ્લાઓ જોડાશે.
વડાપ્રધાન મોદીને હિમાચલ પ્રદેશમાં આવવાનું આમંત્રણ આપતા ઠાકુરે રાજ્ય માટે વિશેષ લગાવ રાખવા અને રાજ્યના ઝડપી વિકાસ માટે પ્રત્યેક રીતે રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગ આપવા બદલ વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો. હિમાચલ પ્રદેશના ભાજપ પ્રમુખ કશ્યપે કહ્યું કે વડાપ્રધાન મોદી હિમાચલને તેમનું બીજું ઘર માને છે. તેમણે દાવો કર્યો હતો કે આ વર્ષના અંતે હિમાચલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ફરીથી સત્તા મેળવશે અને પક્ષના રાજ્ય એકમમાં કોઈ ફેરફાર કરાશે નહીં.