મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 85 ટકા કેસ 10 રાજ્યોમાં : રિકવરી રેટ 83.83 ટકા

અન્ય 11 રાજ્યોમાં સંક્રમણના એક લાખથી વધુ એક્ટીવ કેસ: 24 રાજ્યોમાં સંક્રમણનો દર 15 ટકાથી વધુ

નવી દિલ્હી : કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના મતાનુસાર, દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી 85 ટકા કેસ 10 રાજ્યોમાં છે. અન્ય 11 રાજ્યોમાં સંક્રમણના એક લાખથી વધુ એક્ટીવ કેસ છે જયારે અન્ય આઠ રાજ્યોમાં ઉપચારાધીન રોગીઓની સંખ્યા 50,000 થી એક લાખની વચ્ચે છે.

24 રાજ્યોમાં સંક્રમણનો દર 15 ટકાથી વધુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે છેલ્લામાં છેલ્લી કેસ સંખ્યા અનુસાર આંકડાને સુધારતા દેશમાં કોરોનાના 3,26,098 નવા કેસ નોંધાયા છે. સાથે જ, કુલ દર્દીઓની સંખ્યા વધીને 2,43,72,907 થઇ છે. આ સાથે કોરોનાના વધુ 3890 દર્દીઓનું મોત થતાં કુલ મૃતકોનો આંક 2,66,207 પર પહોંચ્યો છે.

કેન્દ્રના આરોગ્ય સત્તાવાળાઓએ જણાવ્યું કે ઉપચાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને હવે 36,73,802 થઇ છે. જે કુલ કેસના 15.07 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 83.83 ટકા થયો છે

(10:01 pm IST)