મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

૧૧૦ વર્ષના મહંત કોરોનાને હરાવનાર સૌથી વયસ્ક વ્યકિત બન્યા

દેશના સૌથી વયસ્ક વ્યકિતએ કોરોનામાંથી સાજા થઇ ઇતિહાસ રચ્યો

હૈદ્રાબાદ,તા.૧૫ : કોરોના વાયરસના સંક્રમણથી સાજા થયા હોય તેવા દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. મોટી વયના અનેક લોકોએ કોરોનાને હરાવ્યો છે, ત્યારે દેશના સૌથી વયસ્ક વ્યકિતએ કોરોનામાંથી સાજા થઈ ઇતિહાસ રચ્યો છે.

હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં ૧૧૦ વર્ષના રામાનંદ તીર્થને ૨૪ એપ્રિલે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કોરોનાના સામાન્ય લક્ષણો હતા. તેઓ તેલંગણાના કિસારા ખાતે તીર્થ મહંત છે. આ સ્થળે કોઈ સગવડ નથી. ડોકટરોનું કહેવું છે કે, તેમને નિરીક્ષણ માટે થોડા વધુ દિવસો માટે હોસ્પિટલમાં રાખવામાં આવશે. તેમને ટૂંક સમયમાં નોન-ઓકિસજન બેડમાં ખસેડવામાં આવશે અને પ્રવાહી આહાર આપવાનું શરૂ કરાશે.

ગાંધી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ એમ.રાજા રાવે જણાવ્યું હતું કે, ૧૧૦ વર્ષની ઉંમરના તીર્થ કોરોનામાંથી મુકત થયા છે. તેઓ અમારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં હોસ્પિટલના બેડ પર સુતેલા તીર્થને ડોકટરોના પ્રશ્નોના જવાબ આપતા જોઇ શકાય છે. તેમણે કહ્યું કે, થોડા વર્ષો પહેલા તે ગાંધી હોસ્પિટલમાં પગની સર્જરી માટે આવ્યા હતા. તેમણે પોતાના જીવનના બે દશકા જેટલો સમય હિમાલયમાં રહીને વિતાવ્યો છે.

સામાન્ય રીતે મોટી ઉંમરના લોકો માટે કોરોનામાંથી રિકવર થવું સરળ નથી. તેઓને દવાખાને સારવાર માટે દાખલ કરવા જ પડે છે. આવી સ્થિતિમાં તીર્થની કોરોનામાંથી મુકિત મેળવી મહત્વની માનવામાં આવે છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ, માર્ચ ૨૦૨૧ સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લગભગ ૮૮ ટકા લોકો ૪૫ અને તેથી વધુ વયના હતા. જયારે ૬૫ વર્ષથી વધુની વયના લોકોને રિઇફેકશનની દહેશત વધારે છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વૃદ્ઘને વહેલી તકે હોસ્પિટલોમાં પ્રવેશ આપવામાં આવે છે, પરીણામે કોરોનામાંથી મોટી સંખ્યામાં વૃદ્ઘો રિકવર થઈ રહ્યા છે. કેસોની સંખ્યાના સંદર્ભમાં કેન્દ્ર સરકારના આંકડા યુવાનોમાં કોરોના સંક્રમણ વધુ હોવાના સંકેત આપે છે. એપ્રિલ સુધીના ડેટા પરથી જાણવા મળ્યું કે, મોટાભાગના કેસ ૧૫થી ૪૪ વર્ષના લોકોમાં નોંધાયા હતા. દેશમાં ૨ લાખથી વધુ લોકો મહામારી દરમિયાન મૃત્યુ પામ્યા છે. અત્યારે કોવિડના વ્યાપને નિયંત્રણમાં લેવા પગલાં લેવાઈ રહ્યા છે. જેની સકારાત્મક અસર થઈ છે. પરંતુ કેસ ઘટતા હજુ લાંબો સમય લાગશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે.

(10:34 am IST)