સ્કુલ-કોલેજો ખોલવાનો વિકલ્પ શોધી રહી છે યુજીસી અને એજયુકેશન કાઉન્સીલઃ ધોરણ ૧૦-૧ર સીબીએસઇના પરીણામો ઓગષ્ટના અંત સુધીમાં
ધોરણ-૯ અને ૧૧ માં ફેઇલ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક મોકો આપવામાં આવશેઃ કેન્દ્રીય મંત્રી નિશંક
નવી દિલ્હી, તા., ૧૫: નેશનલ કાઉન્સીલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (એનસીઇઆરટી) કોરોનાના કારણે દેશભરમાં છેલ્લા પ૦ દિવસથી બંધ રહેલી સ્કુલોને ખોલવાનો વિકલ્પ શોધી રહી છે, આવી જ રીતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન (યુજીસી) પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરીથી ખોલવાનો રોડમેપ વિચારી રહી છે. નવા શૈક્ષણીક સત્રો કયારથી શરૂ થશે ? તે હજુ કહી શકાય તેમ નથી.
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે ગઇકાલે શિક્ષકો સાથેની વિડીયો કોન્ફરન્સમાં આમ જણાવ્યું હતું. તેમણે કહયું કે, સીબીએસઇ ધો.૧૦-૧રના પેપરોની ચકાસણી કરી રહી છે. ચકાસણી પુરી થતા લગભગ પ૦ દિવસ થશે. ઓગષ્ટના અંત સુધીમાં બંન્ને પરીણામો જાહેર થાય તેવી શકયતા છે. જેઇઇ એડવાન્સનું મેરીટ લીસ્ટ જાહેર થાય તે પહેલા આ પરીણામો જાહેર થશે જેને લઇને ૧ લી સપ્ટેમ્બરથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકશે.
સીબીએસસી ધો.૯ અને ૧૧ માં ફેઇલ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક વાર મોકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા માટે મહત્વપુર્ણ વિષયો સંબંધીત ર૯ પરીક્ષાઓ હજુ બાકી છે. આ પરીક્ષાઓ ૧ થી ૧પ જુલાઇ વચ્ચે યોજાશે.