ટીએમસીના લોકો દ્વારા તોડફોડ, હુમલા કરાયા
અમિત શાહનો સીધો આક્ષેપ
કોલકાતા, તા. ૧૪ : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બંગાળમાં સાતમાં અને અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા પ્રચાર માટે પહોંચ્યા હતા. અમિત શાહ આજે કોલકાતામાં રોડ શો યોજી રહ્યા હતા ત્યારે ભારે ધાંધલ ધમાલ અને હિંસા થઇ હતી. મોડેથી અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના લોકો દ્વારા આ હિંસા ફેલાવવામાં આવી હતી. તેમના કાર્યકરો પર હુમલા કરવામાં આવ્યા હતા. રોડ શો દરમિયાન ભાગદોડની ઘટના બને તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ પ્રતિકુળ સંજોગોમાં પણ ભાજપના કાર્યકરોએ હિંમતપૂર્વક રોડ શોમાં ભાગ લીધો હતો. અમિત શાહે કહ્યું હતું કે, રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ચૂંટણી પંચે આ બાબતની નોંધ લેવી જોઇએ અને આગામી તબક્કાની ચૂંટણી દરમિયાન સંપૂર્ણ શાંતિ રહે તેવા પ્રયાસો કરવા જોઇએ.