મુખ્ય સમાચાર
News of Thursday, 15th April 2021

મહારાષ્ટ્રને ગુજરાત-છત્તીસગઢ રોજ ૨૦૦ ટન ઓક્સિજન આપશે

મહારાષ્ટ્રમાં કર્ફ્યુ સાથે આકરા પ્રતિબંધ લદાયા : રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત, સપ્તાહમાં ૧૫૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરુર પડવાનું અનુમાન

મુંબઈ, તા. ૧૪  : કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં આજથી કોરોના કરફ્યુ સાથે આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યમાં દર્દીઓ માટેના ઓક્સિજનની અછતથી પણ હોસ્પિટલો પ્રભાવિત છે.

હવે કોરોના ગ્રસ્ત મહારાષ્ટ્રની મદદ છત્તીસગઢ અને ગુજરાત કરવાના છે. મળતી વિગતો પ્રમાણે આ બંને રાજ્યોમાંથી ૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્રને પૂરો પાડવામાં આવશે. છત્તીસગઢના ભિલાઈ પ્લાન્ટમાંથી ૧૦૦ મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્રના વિદર્ભમાં સપ્લાય કરાશે જ્યારે ગુજરાતના જામનગરમાંથી ૧૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય મહારાષ્ટ્રને કરવામાં આવશે.

સરકારનુ અનુમાન છે કે, એક સપ્તાહમાં ૧૫૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની રાજ્યને જરુર પડવાની છે. હાલમાં રાજ્ય પાસે રોજનો ૧૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ હોય છે. જેમાંથી ૯૬૦ ટનનો ઉપયોગ કોરોનાના દર્દીઓ માટે કરવામાં આવે છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે સ્ટીલ પ્લાન્ટસ અને તેલ રિફાઈનરી ઈન્ડસ્ટ્રીને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા માટે આગળ આવવા સૂચના આપી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પણ ઓક્સિજનની અછતને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, મહારાષ્ટ્રને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવે.

(12:00 am IST)