યોગી આદિત્યનાથને ૭૨ તેમજ માયાવતીને ૪૮ કલાક પ્રચાર નહીં કરવા હુકમ
સુપ્રીમની ફટકાર બાદ ચૂંટણી પંચનો આદેશ : વિવાદાસ્પદ નિવેદનને લઇને ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી
નવીદિલ્હી, તા. ૧૫ : લોકસભા ચૂંટણીની વચ્ચે નેતાઓના વિવાદાસ્પદ નિવેદન ઉપર સુપ્રીમ કોર્ટે જોરદાર ફટકાર લગાવ્યા બાદ હવે ચૂંટણી પંચે પણ કઠોર વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચાર પર ૭૨ કલાકનો પ્રતિબંધ મુકી દીધો છે જ્યારે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી પર ૪૮ કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મુક્યો છે. જયા પ્રદાની સામે અમર્યાદિત ટિપ્પણી કરનાર આઝમ ખાનની સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચનો આ આદેશ આવતીકાલે સવારે છ વાગે અમલી બનશે. ચૂંટણી પંચના નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે આજે નારાજગી વ્યક્ત કરી હતી. માયાવતી અને યોગી આદિત્યનાથના દ્વેષ ફેલાનાર ભાષણોની સુપ્રીમ કોર્ટે આજે કઠોર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતો જાણવાના પ્રયાસ કર્યા હતા. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ અને ધર્મના આધાર પર દ્વેષ ફેલાવનાર ભાષણો ઉપર બ્રેક મુકવા સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટે કઠોર પ્રતિક્રિયા આપતા હવે કાર્યવાહી શરૂ થઇ છે.