મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

એએપી સાથે ગઠબંધન મુદ્દે કોંગ્રેસ પાર્ટીમાં ભારે દુવિધા

પાર્ટીના કાર્યકરો સાથે વાતચીતનો દોર : એએપી સાથે જોડાણને લઇ સ્થાનિક નેતાઓ ભારે નાખુશ

નવી દિલ્હી, તા. ૧૪ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલ સતત કોંગ્રેસની સાથે રાજ્યમાં ગઠબંધનના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસના પ્રદેશ એકમે આનો વિરોધ કર્યો છે. આવી સ્થિતિમાં પાર્ટીએ હવે એવો નિર્ણય કર્યો છે કે, તેઓ આ મુદ્દા ઉપર બૂથ લેવલના કાર્યકરોનો અભિપ્રાય મેળવશે. પાર્ટી કાર્યકરોને પ્રશ્ન કરવામાં આવશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવે કે કેમ તેને લઇને કાર્યકરોના અભિપ્રાય મેળવવામાં આવશે. કોંગ્રેસના એક સિનિયર નેતાએ માહિતી આપતા કહ્યું છે કે, દિલ્હીના કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોના અવાજમાં એક મેસેજ રેકોર્ડ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ શિલા દિક્ષીતે કહ્યું છે કે, તેમની પાસે કોઇપણ પ્રકારના સર્વે આવી રહ્યા નથી. એએપી સાથે વાતચીતને લઇને તેમની પાસે કોઇ માહિતી નથી. શિલા દિક્ષીતે કહ્યું છે કે, ચાકોના આ સર્વેને લઇને તેમની પાસે કોઇ અહેવાલ આવી રહ્યા નથી. એએપીના નેતાએ કહ્યું છે કે, શિલા દિક્ષીતના નિવેદનથી સ્પષ્ટ છે કે, કોંગ્રેસ ગઠબંધનને લઇને ભ્રમની સ્થિતિમાં છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય માંકને કહ્યું છે કે, ગઠબંધનના મુદ્દા પર કોંગ્રેસમાં ભારે વિભાજનની સ્થિતિ રહેલી છે. માકનનું કહેવું છે કે, ૫૨૦૦૦ કાર્યકરો સાથે શક્તિએપ મારફતે તેમના અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીની પાસે નિવેદન મોકલવામાં આવશે. રાહુલ ગાંધી આ દિશામાં ધ્યાન આપી રહ્યા છે. આનો મતલબ એ છે કે, તેમના આદેશથી આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સર્વેને લઇને કોઇ પ્રશ્ન ઉઠાવે છે તો સીધીરીતે રાહુલ ગાંધી ઉપર પ્રશ્ન હોય છે. માંકને ઇશારામાં કહ્યું હતું કે, શિલા દિક્ષીતની ટિપ્પણી યોગ્ય દેખાતી નથી. રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટ ઉપર નોંધાયેલા કોંગ્રેસના ૫૨૦૦૦ કાર્યકરો પાસેથી પણ અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ, કારોબારી પ્રમુખ, પૂર્વ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, જિલ્લા અધ્યક્ષો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. તેમના વિચાર રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. અમે કાર્યકરોના અભિપ્રાય મેળવી રહ્યા છીએ. પાર્ટીન પ્રાથમિકતા પ્રદેશમાં ભાજપને જીતવાથી રોકવાની છે. અમારો ઉદ્દેશ્ય ભાજપને હરાવવાનો રહ્યો છે. ભાજપને હરાવવા માટે સૌથી સારી રણનીતિ કઈ રહેશે તેને પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં ગઠબંધન ન કરવાને લઇને બહાના શોધી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીમાં ભારે દુવિધાભરી સ્થિતિ દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી પહેલી વખત બૂથ લેવલના કાર્યકરો સાથે અભિપ્રાય મેળવી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામઉપર પણ ચૂંટણી કરતા પહેલા પાર્ટી કાર્યકરોના અભિપ્રાય લેવાયો હતો.

(12:00 am IST)