મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

એપ્રિલથી રાજયસભાનું ચિત્ર બદલાશેઃ પપ સાંસદોની ટર્મ પુરી થશે

રાજયસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ બનશે પરંતુ બહુમતીથી દુરઃ સચિન અને રેખાની ટર્મ પણ પુરી થાય છેઃ યુપીથી ભાજપને ફાયદોઃ સપા અને કોંગ્રેસને નુકસાનઃ બિહારમાં થશે ધમાસાણઃ ગૃહમાં અનેક નવા ચહેરાઓ જોવા મળશે

નવી દિલ્હી તા.૧પ : એપ્રિલમાં રાજયસભાનું ચિત્ર બદલાઇ જશે. લગભગ ચોથાભાગના જુના ચહેરાઓ ગૃહમાં રીટાયર થઇ જશે અને તેની જગ્યાએ નવા ચહેરાઓ સામે આવશે. એપ્રિલમાં રાજયસભાની પપ બેઠકો માટે ચૂંટણી યોજાશે. તે પછી ગૃહનું રાજકીય સમીકરણ બદલાઇ જશે એટલુ જ નહી આ બેઠકની ચૂંટણી દરમિયાન અનેક ઉલટફેર પણ જોવા મળશે. રાજયસભામાં આ એ સમય છે જયારે તેના છ વર્ષના કાર્યકાળમાં એક વખતમાં સૌથી વધુ બેઠકો ખાલી થતી હોય. આ સિવાય સચિન તેંડુલકર, રેખા સહિત ત્રણ નોમીનેટ સાંસદોની ટર્મ પણ સમાપ્ત થઇ રહી છે.

યુપીમાં ઐતિહાસિક વિજયનો સુખદ અહેસાસ ભાજપને એપ્રિલમાં ફરીથી થશે. યુપીમાં જીતને કારણે રાજયસભામાં તેની ૭ બેઠકો વધશે. યુપીમાં ૯ બેઠકો ખાલી થઇ રહી છે જેમાં સપાની છ અને બસપા, કોંગ્રેસ અને ભાજપને એક-એક બેઠક છે. આ વખતે ગણીતના હિસાબથી ભાજપ ૮ બેઠકો મેળવી લેશે. કોંગ્રેસના પ્રમોદ તિવારી અને ભાજપના વિનય કટીયારની ટર્મ સમાપ્ત થઇ રહી છે અને વર્તમાન સમીકરણમાં બંનેને ટીકીટ કે તક મળવાની સંભાવના ઓછી છે. સપાને એક બેઠક મળશે પરંતુ અનેક દાવેદાર છે.

આ વર્ષે બિહારની છ બેઠકો પર ચૂંટણી માટે જોરદાર સ્પર્ધા થશે. અત્યારે જે છ સીટ ખાલી થઇ રહી છે તેમાં જેડીયુ પાસે ચાર અને ભાજપની બે બેઠકો છે પરંતુ ર૦૧પની ચૂંટણી જોતા રાજદને બે બેઠકો મળશે એ નક્કી છે. જેડીયુને પણ બે તથા ભાજપને એક બેઠક મળશે. એક બેઠક કોંગ્રેસ જીતી શકે તેમ છે જો કે આ માટે તેણે પોતાના ધારાસભ્યોને એક જુથ રાખવા પડશે. અત્યારે બિહારથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને ધર્મેન્દ્ર પ્રધાન ભાજપના સાંસદ છે એવામાં રવિશંકરને ભાજપ મોકલશે. જયારે પ્રધાનને યુપીથી જગ્યા મળશે. રાજદમાંથી રાબડી દેવીનું નામ આગળ છે.

સચિન અને રેખાની સતત ગેરહાજરી તેમની ટર્મમાં વિવાદનું કેન્દ્ર બની છે. એપ્રિલ મહિનામાં આ બંનેની ટર્મ પુરી થઇ રહી છે અને બંને નોમીનેટ સાંસદ છે. બંનેની જગ્યાએ મોદી સરકાર બીજા લોકપ્રિય લોકોને મોકલશે.

જે પપ બેઠકો પર ચુંટણી થવાની છે તેમાં કોંગ્રેસ પાસે ૧ર, ભાજપ પાસે ૧૭, સપા પાસે ૬, તૃણમૂલ પાસે ૩, બીજેડી પાસે ર બેઠક છે. આમાં સૌથી વધુ નુકસાન કોંગ્રેસ અને સપાને થશે. સપાના પાંચ સાંસદ ઘટશે તો કોંગ્રેસ ૧રમાંથી વધુમાં વધુ ૪ બેઠકો જ મેળવી શકશે. આનો અર્થ એ છે કે એપ્રિલ પછી એનડીએ રાજયસભામાં મજબુત થશે પરંતુ તે એકલા હાથે બહુમતી મેળવી નહી શકે. રેણુકા ચૌધરી, રાજીવ શુકલ વગેરે કોંગ્રેસના કદાવર નેતાઓ ફરીથી જોવા નહી મળે. એનડીએના અત્યારે ૮૩ સાંસદ છે તે ૯૦ સુધી પહોંચશે. કુલ ર૪પવાળી રાજયસભામાં તે બહુમતીથી ૩૩ ઓછી બેઠક પર અટકી જશે. રાજયસભામાં ભાજપના પ૮, કોંગ્રેસના પ૪, સપાના ૧૮, તૃણમૂલના ૧ર, અન્ના ડીએમકેના ૧૩, બસપાના પ, રાજદના ૮, ટીડીપીના ૬, જેડીયુના ૭, બીજેડીના ૮ સાંસદો છે. (૩-ર)

 

(9:37 am IST)