પંજાબ નેશનલ બેંક મુંબઇ બ્રાંચમાં ૧૧૫૦૦ કરોડનો ગોટાળો
કેટલાક ખાસ લોકોને ફાયદો પહોંચાડવામાં આચરવામાં આવ્યો ફ્રોડઃ બેંકનો શેર ૮ ટકા સુધી તૂટયોઃ ગોટાળો બેંકના ચો.નફા કરતાં ૮ ગણો : બેંકના કર્મચારીઓની પણ મીલીભગતઃ વિદેશોમાં નાણા મોકલાયાઃ તપાસનો ધમધમાટ
ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક એવી પંજાબ નેશનલ બેન્કમાં અંદાજીત ૧ લાખ ૧૩ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. પંજાબ નેશનલ બેન્કની મુંબઈની એક બ્રાન્ચથી બિનઅધિકૃત વહિવટોને પકડી પાડવામાં આવ્યા છે જેના દ્વારા કેટલાક પસંદગીના ખાતા ધારકોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હતો. બેન્કે બોમ્બે સ્ટોક એકસચેન્જને આની જાણકારી આપી છે. આ ગોટાળાની અસર અન્ય કેટલીક બેન્કો પર પણ જોવા મળી શકે છે.
પંજાબ નેશનલ બેન્કે આ ગોટાળામાં સામેલ કોઈ વ્યકિતનું નામ જાહેર કર્યું નથી પરંતુ કહ્યું હતું કે તેણે આ અંગે તપાસ એન્જસીઓને જાણકારી આપી દીધી છે. પંજાબ નેશનલ બેન્કમાં ગોટાલો સામે આવ્યો ત્યારબાદ તેના શેરને પણ અસર થઈ હતી અને બુધવારે સ્ટોક માર્કેટમાં તેનો શેર ચાર ટકાથી વધારે તૂટ્યો હતો. જોકે, બુધવારે શરૂઆતમાં પીએનબીનો શેર પાંચ ટકાથી પણ વધારે તૂટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેન્ક પહેલાથી જ આ પ્રકારના ગોટાળાની તપાસ કરી રહી છે. ગત સપ્તાહે સીબીઆઈએ કહ્યું હતું કે તેણે પીએનબીની ફરીયાદના આધારે અબજોપતિ જવેલર્સ નીરવ મોદી વિરુદ્ઘ તપાસ શરૂ કરી છે. હકિકતમાં પીએનબીએ નીરવ મોદી સહિત અન્ય કેટલાક લોકો પર ૪.૪ કરોડ ડોલરના ગોટાળાની ફરીયાદ નોંધાવી હતી. જોકે, હજી સુધી જાણવા મળી શકયું નથી કે વર્તમાન ગોટાળાનો મામલો પણ તેની સાથે જોડાયેલો છે કે અન્ય મામલો છે.
બેંકના જણાવ્યા મુજબ આ વ્યવહારને કેટલાક ખાસ ખાતાધારકોની રજામંદીથી કરવામાં આવ્યો છે તેનો હેતુ લોકોને ફાયદો પહોંચાડવાનો છે. બેંકના માધ્યમથી કરેલા આ વ્યવહાર દ્વારા અન્ય બેંકો દ્વારા વિદેશમાં બેઠેલા ગ્રાહકોને એડવાન્સ ચુકવણી કરવાની વાત સામે આવી છે.
પીએનબીની એક જ શાખામાં મહાગોટાળાની ખબર એવા સમયે સામે આવી છે. જ્યારે એનપીએના કારણે સાર્વજનિક ક્ષેત્રની બેંકોની નાણાકીય સ્થિતિ કથળેલી છે. બીજીબાજુ મીડીયા રીપોર્ટના જણાવ્યા મુજબ આરબીઆઇએ અંદાજે બે લાખ કરોડ રૂપિયાની લોનના રીસ્ટ્રકચરીંગને લીલીઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો છે. પીએનબીમાં થયેલો આ ગોટાળો બેંકના છેલ્લા વર્ષ થયેલા ચોખ્ખા નફાથી આઠ ગણો વધુ છે.
હજારો કરોડના ગોટાળાના અહેવાલથી પીએનબીના શેરો ધડામ થયા છે. તેનાથી પીએનબીના સીઇઓ સુનીલ મહેતાની મુશ્કેલીમાં વધારો થશે. તેઓએ નાણાકીય લેણદેણમાં ગરબડી બાદ મે ૨૦૧૭માં પદ સંભાળ્યું હતું. આ મામલે પીએનબી અને ૧૨ અન્ય બેંકો પર દંડ ફટાકારાયો હતો.