દિલ્હી-મુંબઈમાં દૈનિક કેસમાં તીવ્ર ઘટાડોઃ ત્રીજી લહેરની પીક આવી ગઈ ?
શુક્રવારે દિલ્હી અને મુંબઈમાં દૈનિક કોરોના કેસમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતોઃ જોકે આ ઓછા ટેસ્ટિંગને આભારી પણ હોઈ શકે છે : દિલ્હીમાં શુક્રવારે ૨૪,૩૮૩ નવા કેસ નોંધાયા હતાઃ જે અગાઉના દૈનિક ૨૮,૮૬૭ કરતા ઘણાં ઓછા હતાઃ મુંબઈમાં પણ દૈનિક કોવિડ કેસોમાં આગલા દિવસ કરતા ૧૭ ઘટાડા સાથે શુક્રવારે ૧૧,૩૧૭ નવા કેસ નોંધાયા હતા
નવી દિલ્હી, તા.૧૫: શુક્રવારે દિલ્હી અને મુંબઈમાં દૈનિક કોવિડ -૧૯ કેસોમાં તીવ્ર ઘટાડો થયો હતો પરંતુ એ સ્પષ્ટ નથી કે ઘટાડો કોરોના સંક્રમણ ઘટવાના કારણે હતો કે ટેસ્ટિંગમાં ઘટાડાના કારણે, મહત્વનું છે કે આ લહેરમાં દરમિયાન દેશમાં આ બંને શહેરો સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે. ભારતમાં શુક્રવારના રોજ માત્ર ૨.૭૦ લાખથી ઓછા કોરોના સંક્રમણના દૈનિક કેસ સામે આવતા ટોટલ કેસોમાં નજીવો વધારો નોંધાયો હતો. એક દિવસ પહેલા આ કેસનો આંકડો ૨.૬૪ લાખ હતો. તો શુક્રવારે સમગ્ર દેશમાં કોવિડ ટેસ્ટિંગમાં પણ ઘટાડો નોંધાયો હતો. જે અગાઉના દિવસના ૧૮.૮૬ લાખની તુલનાએ ઘટીને ૧૭.૮૭ લાખ થઈ ગયું હતું.
દિલ્હીમાં શુક્રવારે ૨૪,૩૮૩ નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસે નોધાયેલા ઓલ ટાઈમ હાઈ દૈનિક કોવિડ કેસ ૨૮,૮૬૭ કરતા ઘણાં ઓછા હતા. તો બીજી તરફ મુંબઈમાં પણ દૈનિક કોવિડ કેસોમાં ઘટાડો થયો હતો. અહીં શુક્રવારે ૧૧,૩૧૭ નવા કેસ નોંધાયા હતા. જે ગુરુવારે નોંધાયેલા કેસની સંખ્યામાં ૧૭% નો ઘટાડો સૂચવે છે. જોકે બંને શહેરોમાં છેલ્લા આઠ દિવસની સરખામણીએ ગુરુવારે હાથ ધરવામાં આવેલા કોવિડ ટેસ્ટિંગની સંખ્યામાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં, બંને શહેરોના કોવિડ ડેટામાં મહત્વપૂર્ણ તફાવત એ હતો કે, જયારે ટેસ્ટ પોઝિટીવીટી રેટ (ટીપીઆર - કોવિડ ટેસ્ટના પોઝિટિ આવવાની ટકાવારી) સામાન્ય રીતે મુંબઈમાં ઘટી રહી હતી, જયારે રાષ્ટ્રીય રાજધાનીમાં સતત વધી રહી છે. મુંબઈનો સૌથી વધુ TPR (છેલ્લા આઠ દિવસમાં) ૭ જાન્યુઆરીએ ૨૮.૯૫% નોંધાયો હતો. જે શુક્રવારે ઘટીને ૨૦. ૬% થઈ ગયો હતો.
બીજી બાજુ, દિલ્હીમાં શુક્રવારે ૩૦. ૬૪%નો TPR નોંધાયો હતો, જે રાજધાનીમાં તાજેતરના મહિનાઓમાં સૌથી વધુ છે. દિલ્હીમાં શુક્રવારે ટેસ્ટિંગની સંખ્યા ૭૯,૫૭૮ સામે આવી હતી, જે છેલ્લા આઠ દિવસમાં બીજા નંબરનો સૌથી ઓછો આંકડો છે. જયારે મુંબઈમાં પણ શુક્રવારે ૫૪,૯૨૪ ટેસ્ટિંગનો આંકડો નોંધાયો હતો. જે છેલ્લા આઠ દિવસમાં સૌથી ઓછો છે. જેથી ડેટા સૂચવે છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થશે તો હજુ પણ બંને શહેરોમાં વધુ પ્રમાણમાં કેસ સામે આવી શકે છે. પરંતુ ટીપીઆરમાં દ્યટાડો સૂચવે છે કે મુંબઈ તેના પીક પર પહોંચી ગયું હોઈ શકે છે જયારે દિલ્હી માટે એવું લાગતું નથી.
રાષ્ટ્રીય રાજધાનીમાં, શુક્રવારના રોજ લગભગ દરેક ત્રીજુ સેમ્પલ વાયરસના ઈન્ફેક્શન માટે પોઝિટિવ હોવાનું સામે આવતું હતું અને દૈનિક TPR ૭ જાન્યુઆરીના ૧૭.૭૩% થી સતત વધ્યો છે અને ૧૪ જાન્યુઆરીના રોજ ૩૦.૬૪% પહોંચ્યો છે. દરમિયાન, શુક્રવારે બંને શહેરોમાં પ્રમાણમાં મોટી સંખ્યામાં મૃત્યુ જોવા મળ્યા હતા, જોકે આ સંખ્યા મહામારીની બીજી લહેર કરતાં દ્યણી ઓછી રહી હતી. શુક્રવારે ૩૪ લોકોના મોત સાથે દેશના તમામ રાજયોમાં દિલ્હીનો મૃત્યુઆંક સૌથી વધુ હતો. જયારે મુંબઈમાં ૯ વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. જે શહેરમાં પાંચ મહિનામાં સૌથી વધુ દૈનિક મૃત્યુઆંક છે. દેશમાં શુક્રવારના રોજ વાયરસથી કુલ ૨૧૭ વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે, સતત ત્રીજા દિવસે દેશમાં ૨૦૦ થી વધુ મૃત્યુઆંક છે.