આર્થિક મંદીને દૂર કરવા છ મહીના માટે GST દરમાં 25 ટકાનો ઘટાડો કરવો જોઇએ: એસોચેમ
સરકારે હાલ વધતા રાજકોષિય ખર્ચ વિશે વધારે ન વિચારવું જોઇએ
નવી દિલ્હી : ઉદ્યોગ મંડળ એસોચેમે સરકારને કહ્યું છે કે આર્થિક મંદીને દૂર કરવા માટે સરકારે આવતા છ મહીના માટે GST રેટમાં 25 ટકાનો ઘટાડો કરવો જોઇએ. તેનાથી રોકાણ અને માંગમાં તેજી આવશે. એસોચેમે એમ પણ કહ્યું કે, સરકારે હાલ વધતા રાજકોષિય ખર્ચ વિશે વધારે ન વિચારવું જોઇએ.
જો તમામ સ્લેબના GST રેટમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવે છે તો સરકારી ખજાના પર લગભગ 1.2 લાખ કરોડનો વધારાનો બોજ પડશે. એસોચેમના અધ્યક્ષ નિરંજન હીરાનંદાનીએ કહ્યું કે, ટેક્સ રેટમાં ઘટાડાને કારણે બિઝનેસમેન વધારે ટેક્સ આપવા માટે ઉત્સાહિત બનશે.
તેમનું કહેવું છે કે, 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય હાંસલ કરવા માટે સરકારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. સરકારે એક સાથે બેરોજગારી અને ઘટતા ગ્રોથ રેટની સમસ્યાનો સામનો કરવો પડશે. માત્ર વિકાસ દરમાં તેજીથી લક્ષ્યને હાંસલ કરવામાં નહીં આવી શકે.