મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

ઉત્તરાખંડ સરકાર ચાર ધામ સહિત ૫૦ મંદિરોના વહીવટનો કબજો લેશે

ઉત્તરાખંડ રાજયના ગવર્નર બેબી રાની મૌર્યએ 'ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ-૨૦૧૯'ને તેમની મંજૂરી આપી દીધી છે

દેહરાદૂન, તા.૧૫: ઉત્તરાખંડ રાજયના ગવર્નર બેબી રાની મૌર્યએ 'ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ-૨૦૧૯'ને તેમની મંજૂરી આપી દીધી છે. આ સાથે ઉત્તરાખંડમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ – એમ ચાર ધામ સહિત ૫૦ તીર્થસ્થાનો પોતાને હસ્તક લેવાનો રાજય સરકાર માટે માર્ગ મોકળો થઈ ગયો છે.

ઉકત ખરડો ઉત્તરાખંડ સરકારના કાયદા વિભાગે પાસ કરી દીધો છે અને હવે એને અમલમાં મૂકતા પહેલાં નોટિફિકેશનની તારીખ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ માટે જે બોર્ડ રચવામાં આવશે એમાં આઈએએસ કક્ષાના કોઈ અધિકારી સીઈઓ તરીકે નિયુકત કરવામાં આવશે જયારે રાજયના મુખ્ય પ્રધાન બોર્ડના પ્રમુખપદે રહેશે. બોર્ડના સભ્યો તરીકે વિધાનસભ્યો, સંસદસભ્યો તથા ટેહડી શાહી પરિવારના એક સભ્યનો પણ સમાવેશ કરવામાં આવશે.

બોર્ડનું મુખ્યાલય દેહરાદૂન શહેરમાં રખાશે.

આ બોર્ડ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી સહિત ઉત્તરાખંડ રાજયના બીજા ૫૧ મંદિરોને રાજય સરકારના અંકુશ હેઠળ લાવશે.

એ સાથે જ હાલના જે મંદિર સંચાલન ટ્રસ્ટ, સમિતિ કે બોર્ડ છે એ રદ કરવામાં આવશે. આમાં બદ્રી-કેદાર ટેમ્પલ કમિટીનો પણ સમાવેશ થાય છે.

વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ અને તિરુપતિ બાલાજી શ્રાઈન બોર્ડની જેમ ઉત્ત્।રાખંડનું મંદિર બોર્ડ બનશે.

સ્થાનિક પૂજારીઓ, સાધુ-સંતો નારાજ, આંદોલન કરશે દરમિયાન, ઉત્તરાખંડ સરકારના આ નિર્ણયથી રાજયના દ્યણા પૂજારીઓ, સાધુ-સંતો નારાજ થયા છે.કેદારનાથ વિસ્તારના કોંગ્રેસના વિધાનસભ્ય મનોજ રાવતે આ ખરડાની વિરુદ્ઘમાં આંદોલન શરૂ કરવાની ધમકી આપી છે. એમણે કહ્યું છે કે આ ખરડો પૂજારીઓ, સાધુ-સંતોના સમાજના હિતની વિરુદ્ઘમાં છે.

રાવતે કહ્યું કે રાજય સરકાર ચાર ધામ માટે આદી શંકરાચાએર્ રચેલી સદી જૂની હિન્દુ પ્રણાલિકાને બગાડી રહી છે. જે કામ બ્રિટિશરો કરી શકયા નહોતા એ કામ આ સરકાર કરી રહી છે. ચાર ધામમાં પૂજારીઓની નિમણૂક તથા એમની મુદત સહિત બધું કામકાજ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. તો રાજય સરકાર આ પદ્ઘતિને રદ કરી શું મેળવવા માગે છે?

બદ્રીનાથ મંદિરના પૂજારી આશુતોષ સેમવાલે કહ્યું કે અમારો સમાજ નવા બોર્ડનો વિરોધ કરે છે, કારણ કે એ હાલની પદ્ઘતિને રદ કરશે. અમે તમામ પૂજારીઓ, સાધુ-સંતો મળવાના છીએ અને આગળના પગલાં લેવાનો નિર્ણય લઈશું.

જોકે રાજય સરકારના પ્રવકતા અને હરિદ્વારના વિધાનસભ્ય મદન કૌશિકનું કહેવું છે કે આદી શંકરાચાર્યએ સ્થાપેલી વડા પૂજારીઓ માટેની પ્રથા અત્યારે છે એ જ પ્રમાણે ચાલુ રહેશે. નવું બોર્ડ મંદિરોની દૈનિક કામગીરીઓમાં દખલ નહીં કરે. એ માત્ર દાનની રકમ તથા મંદિરોનાં વિકાસ માટે વપરાતા નાણાંનો વહીવટ સંભાળશે.

(3:52 pm IST)