કેન્દ્ર દ્વારા ખેડુતો માટે મેઘદુત એપ લોન્ચઃ તમામ ઋતુમાં સચોટ આગાહી મળશે
ખેડુતો જાતે જ વાતાવરણ ફેરફારને આસાનીથી સમજી શકશે
નવી દિલ્હી તા. ૧પ : કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતો માટે મેઘદુત એપ લોન્ચ કરાઇ છે. આ એપથી ખેડુતો આગામી દિવસના ફોરકાસ્ટની સાથે સાથે વરસાદથી પાકને નુકશાન થાય તો તેને કેવી રીતે બચાવી શકાય તે માહિતી પણ આસાનીથી મેળવી શકશે. આ એપ્લીકેશનથી ખેડુતોને તમામ ઋતુમાં સચોટ આગાહી પ્રાપ્ત થશે. આ એપ્લીકેશન ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ચ કરાઇ છે. ખાસ કરીને દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઇ રહે છે. જેના ભાગરૂપે ભારતના ઋતુચક્રને ખરાબ અસર થઇ રહી છે.
હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કરવામાં આવેલી વરસાદની આગાહીને કારણે ખેડુતો પોતાના પાકને નુકસાનને ઘટાડી શકયા છે. પરંતુ હવે આ એપ્લીકેશનથી ખેડુતો જાતે જ આગામી સમયમાં થનારા વાતાવરણના ફેરફાર આસાનીથી સમજી શકશે. આ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશનની સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોઇપણ વ્યકિત ગણતરીની મિનિટોમાં જ હવામાનની આગોતરી માહિતી મેળવી શકે છે.