કાશ્મીરમાં હિમપ્રપાતઃ ત્રણ જવાનો સહિત આઠનાં મોત
ગુમ થયેલા પાંચમા જવાનને શોધવાનું કામ ચાલી રહ્યું છે
શ્રીનગર, તા.૧૫: જમ્મુ અને કાશ્મીરમાં આવેલા બરફના તોફાનના બે બનાવમાં ત્રણ સૈનિક સહિત આઠ વ્યકિતનાં મોત થયાં હતાં અને એક સૈનિક ગુમ થયો છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર મચીલ સેકટરમાં એલઓસી નજીક આર્મીની ચોકી બરફના તોફાનની લપેટમાં આવી હતી. અહીં પાંચ જવાન તોફાનમાં ફસાયા હતા.
આ વાતની જાણ થતાવેંત જ આર્મીએ તપાસ અભિયાન આરંભ્યું હતું અને ચાર જવાનને શોધી કાઢયા હતા, પણ એમાંથી ત્રણ જવાનના મોત થયાં હતાં. ચોથા જવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને એની સારવાર ચાલી રહી છે. ગુમ થયેલા પાંચમા જવાનને શોધવાનું કામ ચાલી રહ્યું છે.
ગંડરબાલ જિલ્લાના ગાગનગીર વિસ્તાર પર બીજું બરફનું તોફાન ત્રાટકયું હતું. સોમવારે રાતે આવેલા તોફાન વખતે એ વિસ્તારમાંથી પાંચ વ્યકિત પસાર થઇ રહી હતી. આ ઘટનામાં પાંચેય વ્યકિતનાં મોત થયાં હતાં. જોકે, અન્ય ચાર વ્યકિતને બચાવી લેવાઇ હતી.