મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

દુર્લભ બિમારી માટે સરકાર આપશે ૧પ લાખ

સરકાર નવી નિતિ લાવી રહી છેઃ ગરીબોને જ નહિ પણ આયુષ્યમાન ભારત હેઠળ માત્ર ૪૦ ટકા વસ્તીને પણ મળશે લાભઃ ફકત સરકારી હોસ્પીટલમાં સારવાર કરાવવા પર મળશે આ રકમઃ ખાનગી માટે નહિ મળેઃ સ્વાસ્થ્ય મંત્રાલયે મુસદો ઘડયો : ૧૦ ફેબ્રુ. સુધી માંગ્યા સુચન

નવી દિલ્હી તા. ૧પ : કેન્દ્ર સરકાર ટુંક સમયમાંજ ગંભીર વર્ગના દુર્લભ રોગોથી પીડાતા દરદીઓને સારવાર માટે ૧પ લાખ રૂપિયા સુધીની રકમ ઉપલબ્ધ કરાવશે આના માટે દુર્લભ બીમારી રાષ્ટ્રીય નીતિ (નેશનલ પોલીસી ફોર રેર ડીસીઝ) નો મુસદ્દો થઇ તૈયાર થઇ ચુકયો છે. જેમાં રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના હેઠળ દરદીને એકવાર ઇલાજ માટે આ આર્થિક મદદ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

સરકાર તરફથી બહાર પડાયેલ મુસદ્દામાં આ લાભ ગરીબી રેખાની નીચેના પરિવારોને જ નહીં પણ આયુષમાન ભારત યોજના માટે યોગ્ય માનવામાં આવેલ ૪૦ ટકા વસ્તીને પણ આ નવી નિતિનો લાભ મળશે. જો કે આ રકમ ફકત સરકારી હોસ્પીટલોમાં ઇલાજ કરાવે તો જ મળશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પોતાની વેબસાઇટ પર આ મુસદ્દોને મુકીને તેના પર ૧૦ ફેબ્રુઆરી સુધીમાં સુચનો માંગ્યા છે.

મંત્રાલય આના માટે કેટલાક ખાસ સંસ્થાનોને દુર્લભ રોગના સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે અધિસુચિત કરવાની તૈયારીમાં છે. તેમાં એમ્સ (દિલ્હી) મૌલાના આઝાદ મેડીકલ કોલેજ (દિલ્હી), સંજય ગાંધી પીજી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (લખનૌ), ચંદીગઢ પીજીઆઇ અને ચાર અન્ય સંસ્થાનો સામેલ છે.

મુસદ્દામાં કહેવાયું છે કે આ સેન્ટર ઓફ એકસેલન્સમાં રોગીઓના ખર્ચની રકમ દાન દ્વારા એકઠી કરવામાં આવશે. નીતી અનુસાર, સરકાર સ્વેચ્છિક વ્યકિતગત અને કોર્પોરેટ દાતાઓ પાસેથી દુર્લભ બિમારીઓના દરદીની સારવારમાં આર્થિક મદદ  લેવા માટે એક ડીજીટલ પ્લેટ ફોર્મના માધ્યમથી વૈકલ્પિક ફંડીંગ સિસ્ટમ બનાવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ પહેલા જુલાઇ ર૦૧૭માં પણ નેશનલ પોલીસી ફોર ટ્રીએન્ટ ઓફ રેરડીસીઝ બહાર પાડી હતી પણ તેમાં ફંડીંગ વગેરેની ચોખવટ ન કરાઇ હોવાથી રાજય સરકારો તરફથી વાંધો લેવાયો હતો. ત્યાર પછી નવેમ્બર ર૦૧૮માં આના પર પુનર્વિચાર માટે સરકારે એક સમિતિની રચના કરી હતી.

(11:07 am IST)