મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

CAAની વિરૂધ્ધ કેરળ સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ

કેન્દ્રને પડકારનારૂ પહેલું રાજય બન્યું, કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિકતા સંશોધન કાયદાને રદ કરવાની માંગ કરી છે

નવી દિલ્હી, તા.૧૫: નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેરળ સરકાર એ પડકાર્યો છે. દેશના અલગ-અલગ હિસ્સાઓમાં થઈ રહેલા પ્રદર્શનોની વચ્ચે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ઘ કેરળ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. આ કાયદાની વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવનારું કેરળ પહેલું રાજય બની ગયું છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ પહેલા જ આ કાયદાની વિરુદ્ઘ લગભગ ૬૦ અરજીઓની સુનાવણી કરી રહ્યું છે.

કેરળ સરકારે અરજીમાં કાયદાને ભેદભાવવાળો અને મૌલિક અધિકારોનું ઉલ્લંદ્યન કરતો ગણાવ્યો છે. કેરળ સરકારે તેના માટે સુપ્રીમ કોર્ટમાં બંધારણના આર્ટિકલ ૧૩૧ હેઠળ સૂટ દાખલ કરી છે. આર્ટિકલ-૧૩૧ ભારત સરકાર અને કોઈ પણ રાજયની વચ્ચે કોઈ પણ વિવાદમાં સુપ્રીમ કોર્ટને મૂળ અધિકાર ક્ષેત્ર આપે છે. જો બંનેની વચ્ચે કોઈ કાયદાનો સવાલ કે પછી કાયદા પર સીમા કે અધિકારનો મુદ્દો હોય.

કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિકતા સંશોધન કાયદાને રદ કરવાની માંગ કરી છે. કેરળ સરકારે કહ્યું કે, આ કાયદો આર્ટિકલ ૧૪, ૨૧ અને ૨૫નું ઉલ્લંઘન કરે છે. CAAની વિરુદ્ઘ પહેલીવાર કોઈ રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કેરળ વિધાનસભાએ નાગરિકતા કાયદાને રદ કરવાની માંગવાળો પ્રસ્તાવ પાસ કર્યો છે. સત્ત્।ારૂઢ સીપીએમ નેતૃત્વવાળી ગઠબંધન એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વવાળી વિપક્ષી ગઠબંધન યૂડીએફે વિધાનસભામાં CAAના વિરોધમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું જયારે બીજેપીના એકમાત્ર સભ્યએ તેનો વિરોધ કર્યો હતો.

કેરળના મુખ્યમંત્રી પી. વિજયન એ પહેલા જ ઘોષણા કરી હતી કે તેમની સરકાર સંશોધિત નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને પોતાના રાજયમાં લાગુ નહીં કરે. વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરીને તેને એકના મુકાબલે ૧૩૮ મતોથી પાસ કરાવીને તેઓએ હવે કેન્દ્ર સરકાર પર દબાણ વધારી દીધું હતું.

આ પહેલા કેરળ વિધાનસભામાં સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ઘ પ્રસ્તાવ પાસ થવાને લઈ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે નાગરિકતા પર માત્ર સંસદને કોઈ કાયદો પાસ કરવાનો અધિકાર છે, વિધાનસભાને નહીં.

મૂળે, નાગરિકતા કાયદા દ્વારા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફદ્યાનિસ્તાથી આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ઘ અને ખ્રિસ્તીઓ માટે કોઈ કાયદેસર દસ્તાવેજો વગર પણ ભારતીય નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

(12:08 pm IST)