મુખ્ય સમાચાર
News of Tuesday, 15th January 2019

ગુજરાત રમખાણ : મોદીને કલીનચીટ વિરૂધ્ધ ઝાકીયા ઝાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચાર સપ્તાહ બાદ સુનાવણી

SITએ ૨૦૦૨ના રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી મોદીને આપી હતી કલિનચીટ

નવી દિલ્હી તા. ૧૫ : સુપ્રીમ કોર્ટે આજે ૨૦૦૨ ગોધરા રમખાણો સાથે જોડાયેલ મામલામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈને કલીન ચીટ વિરૂધ્ધ દાખલ થયેલ અરજી ઉપર ચાર અઠવાડિયા પછી સુનાવણી કરશે. આ મામલામાં એસઆઈટીએ નરેન્દ્રભાઈને કલીન ચીટ આપવા અંગે જાકીયા જાફરીએ આ અરજી દાખલ કરેલ છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે ગુજરાતના ૨૦૦૨ના રમખાણો મામલે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી કિલન ચીટને પડકારતી ઝકીયા જાફરીની અરજી ચાર સપ્તાહ પછી સાંભળશે. ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એકસપ્રેસના ડબામાં આગ ચાંપવાની ઘટના બાદ સમગ્ર રાજયમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા.

ગોધરા કાંડ બાદના કોમી રમખાણોમાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના ઘરને ટોળાએ આગ ચાંપી દીધી હતી જેમાં તેમનું મોત થયું હતું. મૃતકના પત્ની ઝકીયા જાફરીએ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૫ ઓકટોબર ૨૦૧૭ના, એસઆઈટીના ચુકાદાને પડકારતી અરજી ફગાવી દેવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો.

જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચ સમક્ષ આ મેટર સુનાવણી માટે આવી હતી, જેમાં અરજદાર માટે હાજર રહેલા વકીલે જણાવ્યું કે તેમણે આ સુનાવણી ટાળવા માટે પત્ર લખ્યો છે. બેન્ચે આ મામલે જણાવ્યું કે અરજદારે ચાર સપ્તાહની માંગ કરી છે જેથી આ કેસ અંગે ચાર સપ્તાહ બાદ સાંભળવામાં આવશે.

(3:13 pm IST)