ગુજરાતના સીએમ હતા ત્યારે મોદીએ ગરીબો માટે અનામત અંગે ચિંતા વ્યકત કરી હતી
હિન્દુસ્તાન ટાઈમ્સનો સનસનીખેજ રીપોર્ટ
નવી દિલ્હી, તા. ૧૫ :. ગુજરાત ગઈકાલથી દેશનું પહેલુ એવુ રાજ્ય બન્યુ છે. જેણે ગરીબો માટે ૧૦ ટકા અનામતને લાગુ કરી દીધેલ છે. આ અનામત સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકો એટલે કે ઈબીસીને શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી નોકરીઓમાં અપાશે પરંતુ સરકારના એક રીપોર્ટનું કહેવુ છે કે ૨૦૦૯માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૫૦ ટકાની સીમાને વધારીને અનામત આપવાને લઈને ચિંતા વ્યકત કરી હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રીપોર્ટ અનુસાર મોદીએ કહ્યુ હતુ કે આજે પછાત વર્ગમાં સામેલ થવાની એક દોડ શરૃ થઈ છે જે યોગ્ય નથી. યુપીએ સરકાર દ્વારા બનાવવામાં આવેલી સિન્હો કમીટી સમક્ષ એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા મોદીએ આ રીપોર્ટ નોંધાવ્યો હતો. જેને સામાન્ય વર્ગને અનામત આપવા પર વિચાર કરવા માટે બનાવવામાં આવી હતી.
પેનલના રીપોર્ટમાં મોદીએ લખ્યુ હતુ કે તેમણે ઈબીસીની ઓળખ કરવા માટે બીજા માપદંડો કરવાનું સૂચન કર્યુ હતુ. જાન્યુઆરી ૧૯થી ૨૬ દરમિયાન પેનલને આપેલા જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, એવા માપદંડો બનાવવા જોઈએ અને ખુલ્લા મંચ પર તેની ચર્ચા થવી જોઈએ. જેમા રાજ્ય સરકાર પણ સામેલ હોય. તેમણે કહ્યુ હતુ કે એ જાણવુ જોઈએ કે કેટલી જનસંખ્યા આરક્ષણ હેઠળ આવે છે અને પછી એક રણનીતિ બનાવી તેની મદદ કરવી જોઈએ.
૨૦૦૯માં તેમણે ભારપૂર્વક કહ્યુ હતુ કે બધા રાજ્યોની જરૃરીયાતોને એક જ માપદંડમાં આંકવી જોઈએ નહિ અને વાસ્તવિક હકીકત ધ્યાને લેવી જોઈએ. ગુજરાત સરકારે કહ્યુ હતુ કે જો ઈબીસી માટે ઉચ્ચ માપદંડ રખાય તો તે બીપીએલ પરિવાર માટે અન્યાય થશે કારણ કે તેની સંખ્યા વધુ છે. એ સમયે દેશની એક તૃત્યાંસ જનસંખ્યા આ દાયરામાં આવતી હતી. રાજ્યમાં એ દરમિયાન સામાન્ય વર્ગની જનસંખ્યા ૫.૭ ટકા હતી.