દિલ્હીવાસીઓમાં પીએમ મોદી નહીં : કેજરીવાલ સૌથી વધુ લોકપ્રિય : લોકનીતિ-CSDSનો સર્વે
સર્વેમાં 42 ટકાએ કેજરીવાલને અને 32 ટકા લોકોએ મોદીને પસંદ કર્યા : આપ સરકારનાં કામકાજથી મોટાભાગના લોકો સંતુષ્ટ
નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. દિલ્હીનાં લોકોએ મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલને પીએમ મોદીની તુલનામાં વધારે પસંદ કર્યા છે. લોકનીતિ-CSDSનાં સર્વેમાં 42 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને અને 32 ટકા લોકોએ પીએમ મોદીને પસંદ કર્યા છે.
આ સર્વેક્ષણ રાષ્ટ્રીય સ્તરના રાજકારણની જગ્યાએ દિલ્હી વિશે હતુ, એટલા માટે જ્યારે મતદારોને પસંદગી કરવા માટે કહેવામાં આવ્યુ તો 42 ટકા લોકોએ કેજરીવાલને મોદીની ઉપર પસંદ કર્યા હતા
આ સર્વે 22 નવેમ્બરથી 3 ડિસેમ્બરની વચ્ચે દિલ્હીની 23 વિધાનસભા ક્ષેત્રોનાં કુલ 115 જગ્યાઓ ઉપર કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન 2,298 મતદારોનું મંતવ્ય લેવામાં આવ્યુ હતુ. સર્વે મુજબ આપ સરકારનાં કામકાજથી મોટાભાગના દિલ્હીનાં લોકો સંતુષ્ટ છે.
કુલ 53 ટકા લોકોએ કેજરીવાલ સરકારનાં કામ પર ખુશી વ્યક્ત કરી છે. સર્વેમાં 10માંથી 9 મતદારોએ કેજરીવાલ સરકારનાં કામકાજ પર સંતોષ વ્યક્ત કર્યો છે. મતદારોએ કેજરીવાલ સરકાર દ્વારા શિક્ષા, ચિકિત્સા અને ટ્રાન્સપોર્ટમાં કરાયેલાં કામોનાં વખાણ કર્યા છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ચારમાંથી દર ત્રણ મતદારો મોદી સરકારનાં કામથી પણ ખુશ છે. પરંતુ 20 ટકા લોકોએ બેરોજગારી, મોંઘવારી અને આર્થિક મોર્ચા પર કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ પર નારાજગી વ્યક્ત કરી છે.