ઝાકીર નાઇકની આશા પર પાણી ફરી વળ્યું, માલદીવે કહી દીધુ- અમારે ત્યાં ઘૂસવા દઇશું નહીં
નવી દિલ્હી, તા.૧૪:વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક માલદીવ જવા માંગે છે, પરંતુ તેના અનુરોધને આ દ્વીપ દેશે રદ્દ કરી દીધો છે. માલદીવના અવામી-મજલિસના સ્પીકર મોહમ્મદ નશીદે દિલ્હીમાં કહ્યું કે ઝાકિર નાઇક માલદીવ આવવા માંગતા હતા પરંતુ અમે તેમને મંજૂરી આપી નથી. નશીદે આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી.
આપને જણાવી દઇએ કે ઝાકિર નાઇકે મલેશિયામાં છેલ્લાં ત્રણ વર્ષથી શરણ લઇ રાખ્યું છે. નાઇકની વિરૂદ્ઘ ભારતમાં મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. આ સિવાય જુલાઇ ૨૦૧૬માં ઢાકા એટેકના સંબંધમાં પણ તેની વિરૂદ્ઘ કેસ નોંધાયો છે. ભારતે તેના પ્રત્યર્પણની ઔપચારિક અપીલ કરી છે, પરંતુ મલેશિયાએ આ અપીલને ઠુકરાવી દીધી છે.
પીએમ નરેન્દ્રભાઇ મોદીએ સપ્ટેમ્બરમાં રૂસમાં પાંચમા પૂર્વ આર્થિક મંચની બેઠકની અંદર મલેશિયાના પીએમ મોહમ્મદ મહાતિર સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન નાઇકના પ્રત્યર્પણ પર ચર્ચા થઇ હતી. વિદેશ મંત્રાલયના સચિવ વિજય ગોખલે એ કહ્યું હતું કે પીએમ મોદીએ ઝાકિર નાઇકના પ્રત્યર્પણનો મુદ્દો ઉઠાવ્યો. બંને પક્ષોએ નિર્ણય કર્યો કે અધિકારી આ મુદ્દા પર આગળ સંપર્કમાં રહેશે અને આ અમારા માટે મહત્વપૂર્ણ મુદ્દો છે.
ભારતમાંથી ગુમ અને મલેશિયામાં શરણ માટે ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા માટે ઇડીએ સપ્ટેમ્બરમાં મુંબઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. દેશની તપાસ એજન્સીઓ ઝાકિર નાઇકના પ્રત્યર્પણમાં લાગી છે, જેથી કરીને તેમને ભારત લાવ્યા બાદ મની લોન્ડ્રિંગ કેસમાં આગળની કાર્યવાહી થઇ શકે.