મિશન ૨૦૧૯: BJPની રાષ્ટ્રીય પરિષદની બેઠક ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાશે
ભાજપ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી દેશના વિવિધ રાજ્યોમાં પક્ષના જુદા-જુદા મોરચાની બેઠકોનું આયોજન કરશે
નવી દિલ્હી તા. ૧૪ : આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીના સંદર્ભમાં ભાજપ આ વર્ષે ડિસેમ્બરથી આવતા વર્ષના ફેબ્રુઆરી મહિના સુધી દેશના વિવિધ રાજયોમાં જૂદા-જૂદા મોરચાની બેઠકનું આયોજન કરશે. સાથે જ ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં પક્ષની રાષ્ટ્રીય પરિષદનું પણ આયોજન કરાશે.
ભાજપના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે પક્ષના વડામથક ખાતે પત્રકારો સમક્ષ પાર્ટીના આગામી કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપના સંગઠનાત્મક સ્તરે
૭ મોરચા છે. જેમાં ભારતીય જનતા યુવા મોરચાની બેઠક હૈદરાબાદમાં યોજાઈ ચુકી છે. હવે ૧૫ અને ૧૬ ડિસેમ્બરના રોજ પક્ષના યુવા મોરચાની કાર્યશાળાનું આયોજન કરાયું છે.
આગામી ૨૧-૨૨ ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રિય મહિલા સંમેલનનું આયોજન કરાયું છે. આ બેઠકમાં રાષ્ટ્ર્યી અને રાજય સ્તરની મહિલા મોરચા પદાધિકારી અને નેતાઓ ભાગ લેશે. ૨૨ ડિસેમ્બરના રોજ મહિલા મોરચાની એક વિશાળ જનસભાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરવાના છે. અનુસૂચિત જાતિ મોરચાની બેઠખ ૧૯-૨૦ જાન્યુઆરીના રોજ નાગપુરમાં યોજાશે, જેમાં અમિત શાહ ભાગ લેશે.
યાદવે જણાવ્યું કે, ૧૧ અને ૧૨ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પરિષદનું અધિવેશન યોજાશે. જેમાં પક્ષના તમામ પદાધિકારીઓ અને તમામ જનપ્રતિનિધિ ભાગ લેશે.
પક્ષના પદાધિકારીઓની બેઠખ બાદ ભાજપની અનુસુચિત જનજાતિ મોરચાની બેઠક ૨ અને ૩ ફેબ્રુઆરીના રોજ ભુવનેશ્વરમાં યોજાશે. ભાજપના ઓબીસી મોરચાની બેઠક ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીના રોજ પટનામાં યોજાશે. જેમાં ૧૬ ફેબ્રુઆરીના રોજ પટનાના ગાંધી મેદાનમાં એક જાહેર સભાનું આયોજન કરાયું છે, જેમાં પક્ષના અધ્યક્ષ અમિત શાહ, પક્ષના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ, ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસ વગેરે સંબોધન કરશે.
ભાજપ કિસાન મોરચાની બેઠકનું આયોજન ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશમાં યોજાશે. આ બેઠકને નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. પક્ષના મહાસચિવે જણાવ્યું કે, પદાધિકારીઓની બેઠક પહેલાથી નક્કી થયેલી હતી અને તેમાં કેટલાક રાજયોમાં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના પરાજય અંગે કોઈ ચર્ચા થઈ નથી. આ બાબત બેઠકના એજન્ડામાં સામેલ ન હતી.(૨૧.૩)