ત્રણેય રાજયોમાં ગ્રામિણ અને ખેડૂત-કૃષિ સાથે સંકળાયેલા મતદારોએ કોંગ્રેસને વિજય અપાવ્યો
ભાજપને મત મળ્યા પણ બેઠકો નહિ
નવી દિલ્હી તા. ૧૪ :.. હિંદી ભાષી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં થયેલ ધારાસભાની ચૂંટણીમાં પ્રજાએ ભાજપાને સત્તા પરથી ઉતારી મુકયો છે. આંકડાઓના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે સત્તા વિરોધી મોજાના કારણે ભાજપાને ગઇ વિધાનસભા ચુંટણીના મુકાબલે બધા વર્ગોથી નિરાશા મળી છે. જયારે કોંગ્રેસ આ નારાજ મતદારોને પોતાની બાજુ વાળવામાં સફળ થઇ.
ચૂંટણી વિશ્લેષકોએ મતદાતાઓને ત્રણ મુખ્ય વર્ગમાં વિભાજીત કર્યા છે. જેમાં ખેતી અને બિનખેતીના ધંધાર્થીઓ અનુસુચિત જાતિ અને જનજાતિ અને શહેરી અને ગ્રામીણ મતદાતા, વિશ્લેષકોએ કહયું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મતોનું અંતર ઓછું હોવા છતાં બેઠકોનો ફરક ઘણો વધારે છે જેને કારણ વિપક્ષી એકતા અને જયાં ગઠબંધન નહોતું થયું ત્યાં પણ ભાજપા વિરોધી મતદાતાઓએ જેની જીતની શકયતાઓ વધારે હતી તેવા ઉમેદવારને મત આપ્યા.
ત્રણે રાજયોના આંકડાઓ પર નજર નાખીએ તો સ્પષ્ટ થાય છે કે આ વખતે ત્રણે રાજયોમાં ગ્રામ્ય અને ખેતી સાથે જોડાયેલા મતદાતાઓના પ્રભાવવાળી બેઠકો પર કોંગ્રેસે ભાજપા પર નિર્ણાયક બહુમતી મેળવી. રાજસ્થાન અને મધ્ય પ્રદેશની શહેરી મતદાતાઓ વાળી બેઠકો પર ભાજપાની પારંપરિક મજબૂતી જોવામાં આવી.
મત મળ્યા બેઠકો નહીં
ભાજપા માટે સૌથી મોટી ચિંતા એ છે કે વધારે મત મળવા છતાં તેને બેઠકમાં ન ફેરવી શકયા. આ વખતે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બન્ને પક્ષોને મળેલ મતો વચ્ચેનું અંતર અનુક્રમે ૦.પ ટકા અને ૦.૧ ટકા હતું પણ બેઠકો મેળવવામાં કોંગ્રેસ ઘણી આગળ નીકળી ગઇ. (પ-૧૦)