આતંકવાદની સમસ્યાને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 1,000 અબજ ડોલરનું નુકસાન ;બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ મુદ્દો ઉઠાવ્યો
રાઝિલીયા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ સમસ્યાના કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને 1,000 અબજ ડોલરનું નુકસાન થયું છે. બ્રાઝિલીયાના ઐતિહાસિક પેલેસમાં બ્રિક્સ પૂર્ણ અધિવેશનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકવાદ વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે મોટો ખતરો છે. આ પ્રસંગે બ્રાઝિલ , ચીન , રશિયા અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ ઉપસ્થિત હતા.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે કેટલાક અંદાજ પ્રમાણે આતંકવાદના કારણે વિકાસશીલ દેશોની આર્થિક વૃદ્ધિ 1.5 ટકા પ્રભાવિત થઈ છે. જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 1,000 અબજ ડોલરનું નુકશાન થયું છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદ દ્વારા ફેલાયેલ ભ્રમ, ટેરર ફંડિંગ, ડ્રગ ટ્રેફિકિંગ અને અપ્રત્યક્ષ રીતે થઈ રહેલા સંગઠિત અપરાધોને કારણે વેપાર અને વ્યવસાયને ઘણું નુકસાન થયું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે મને મિત્ર દેશ બ્રાઝિલની આ સુંદર રાજધાનીમાં 11માં બ્રિક્સ સમિટમાં આવીને ઘણો આનંદ થયો છે. હું ભવ્ય સ્વાગત અને સમિટની શાનદાર વ્યવસ્થા માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ બોલ્સોનારોનો હાર્દિક ધન્યવાદ આપું છું.
પીએમ મોદીએ કહ્યું હતું કે આ સમિટની થીમ - 'ઇકોનોમિક ગ્રોથ ફોર એન ઇનોવેટિવ ફ્યૂચર' ઘણું સટીક છે. ઇનોવેશન આપણા વિકાસનો આધાર બની ચૂક્યો છે. જેથી જરુરી છે કે આપણે ઇનોવેશન માટે બ્રિક્સ અંતર્ગત સહયોગ મજબુત કરે.