વિજય માલ્યાના ફરાર થવા મુદ્દે જેટલી પર તીવ્ર પ્રહારો
ભાજપના જ સુબ્રમણ્યમ સ્વામીના પ્રહારો : વિજય માલ્યાએ સંસદના સેન્ટ્રલ હોલમાં નાણામંત્રી સાથે વાતચીત કરી હતી તે બાબતને ફગાવી શકાય નહીં : સ્વામી
નવી દિલ્હી, તા. ૧૩ : શરાબ કારોબારી વિજય માલ્યાને દેશ છોડીને ભાગવાના મામલામાં રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ નાણામંત્રી અરુણ જેટલી ઉપર આકરા પ્રહારો કર્યા છે. સ્વામીએ આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ મામલામાં નાણામંત્રીએ પોતાની સાફ વાત કરવી જોઇએ. નાણામંત્રી પ્રશ્નોના ઘેરામાં આવી ગયા છે. આ તથ્યને ફગાવી શકાય નહીં કે, માલ્યાએ સંસદના સેન્ટ્રલ હોલમાં નાણામંત્રીને લંડન જવાના સંદર્ભમાં માહિતી આપી હતી. આ ઉપરાંત સ્વામીએ કહ્યું હતું કે, માલ્યાની સામે લુકઆઉટ નોટિસ ૨૪મી ઓક્ટોબર ૨૦૧૫ના દિવસે હળવું કરવામાં આવ્યું હતું. તેમના સ્ટેટસને બ્લોગથી રિપોર્ટ કરી દેવામાં આવ્યું હતું. આનાથી માલ્યાને ૫૪ જેટલી ચકાસણી કરવામાં આવેલી ચીજવસ્તુઓની સાથે દેશની બહાર જવામાં સરળતા મળી હતી. બુધવારના દિવસે માલ્યાએ નિવેદન જારી કરીને ભારતીય રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો. માલ્યાએ દાવો કર્યો હતો કે, ભારત છોડતા પહેલા નાણામંત્રીને મળીને ગયા હતા. તેઓ સેટલમેન્ટને લઇને નાણામંત્રીને મળ્યા હતા. માલ્યાના નિવેદન બાદ જેટલીએ બ્લોગ લખીને કહ્યું હતું કે, વિજય માલ્યાએ કહ્યું હતું કે, તેઓ ભારત છોડતા પહેલા સેટલમેન્ટ ઓફરને લઇને તેમને મળવા માટે પહોંચ્યા હતા. તથ્યાત્મકરીતે આ બાબત સંપૂર્ણપણે ખોટી છે. ૨૦૧૪થી લઇને હજુ સુધી માલ્યા સાથે કોઇપણ વાતચીત કરવામાં આવી નથી. કોઇ એપોઇન્ટમેન્ટ પણ માલ્યાને આપવામાં આવી નથી. થોડાક સમય બાદ જ વિજય માલ્યાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, તેઓ જેટલીને મળ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ લંડન જઇ રહ્યા છે. તેમની સાથે કોઇ અનૌપચારિક વાતચીત થઇ ન હતી. ત્યારબાદ સંસદમાં કેટલાક સાથીઓ સાથે પણ વાતચીત કરી હતી અને બાકી નાણાંની ચુકવણીના સંદર્ભમાં પણ વાત કરી હતી.