યુપી : હિઝબુલનો કુખ્યાત ત્રાસવાદી આખરે પકડાયો
ઝડપાયેલા ત્રાસવાદી પાસેથી એકે ૪૭ મળી : થોડાક દિવસ પૂર્વે એક મંદિરમાં રેકી કરીને આવ્યો હતો
લખનૌ, તા. ૧૩ : ઉત્તરપ્રદેશ પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીએ ખતરનાક આતંકવાદીને પકડી પાડ્યો છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના કુખ્યાત ત્રાસવાદીને પકડી પાડવામાં સફળતા મળી છે. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપીસિંહે માહિતી આપતા કહ્યું છે કે, આજે આ ધરપકડ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાંથી કરવામાં આવી હતી. આ આતંકવાદી ગણેશ ઉત્સવ દરમિયાન હુમલા કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ આતંકવાદીએ સોશિયલ મિડિયા ઉપર એકે ૪૭ની સાથે પોતાનો ફોટો પણ મુક્યો હતો. જમ્મુ કાશ્મીરમાં સક્રિય આ આતંકવાદી સંગઠનના લીડરનું નામ કમર ઉજ જમા છે. તે મુળરીતે આસામના નૌગામનો નિવાસી છે. પોલીસનું કહેવું છે કે, હિઝબુલે તેને આ ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિની તૈયારી કરવા માટેની જવાબદારી સોંપી હતી. પ્રાથમિક પુછપરછમાં આ શખ્સે કબૂલાત કરી છે કે, તે હિઝબુલનો સક્રિય સભ્ય તરીકે છે. જમ્મુ કાશ્મીરના કિસ્તવારમાં તેની ટ્રેનિંગ થઇ હતી. ઓપી સિંહનું કહેવું છે કે, તેના મોબાઇલમાંથી એક વિડિયો પણ મળી આવ્યો છે જેનાથી જાણવા મળે છે કે, તે કાનપુરમાં એક મંદિરમાં રેકી પણ કરીને આવ્યો હતો અને ત્યાં હુમલો કરવાનીયોજના બનાવી રહ્યો હતો. ઓપી સિંહનું કહેવું છે કે, ભારતીય હોવાના પરિણામ સ્વરુપેહિઝબુલ મુઝાહિદ્દીને તેનેખાસ જવાબદારી સોંપી હતી.કોઇના ઉપર શંકા ન થાય તે માટે તે કામ કરી રહ્યો હતો. એનઆઈએ પાસેથી મળેલી બાતમીના આધારે આ આતંકવાદીને એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.