સ્વાતિ પાંડેએ રતન ટાટા અને આનંદ મહિન્દ્રાને તિરંગો આપ્યો : આનંદ મહિન્દ્રાએ ફોટો શેર કર્યો
દીગ્ગજોને રાષ્ટ્રધ્વજ આપતી મહિલા છે મુંબઈની પોસ્ટ માસ્ટર જનરલ : 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ, એક કરોડથી વધુ રાષ્ટ્રધ્વજનું વેચાણ કર્યું
નવી દિલ્લી તા.14 : આખું ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યું છે. પીએમ મોદીની અપીલ પર 140 કરોડ દેશવાસીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં ઘર-ઘર, દરેક શેરી, વિસ્તાર અને ઇન્ટરનેટના ચિત્રો પણ તિરંગાથી છવાયેલા છે. આ દરમિયાન તિરંગા સાથે એક મહિલાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા અને આનંદ મહિન્દ્રા સાથે જોવા મળી રહી છે. તે દેશની આ દિગ્ગજ હસ્તીઓ સાથે કેમ ઉભી છે? આવા અનેક સવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ તેમના ટ્વિટર હેન્ડલ પર મહિલા સાથે બંને ઉદ્યોગપતિઓની તસવીર શેર કરી છે. આ પછી દરેકના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે આખરે આ મહિલા કોણ છે, જે દીગ્ગજોને રાષ્ટ્રધ્વજ આપતી જોવા મળે છે. તો ચાલો તમને જણાવીએ.
વાસ્તવમાં દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણી અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ઘર અને ઓફિસ પર તિરંગો લગાવી રહ્યા છે. આ અભિયાન હેઠળ મુંબઈના પોસ્ટ માસ્ટર જનરલ બંને ઉદ્યોગપતિઓને તિરંગો આપતા જોવા મળે છે. રતન ટાટા અને આનંદ મહિન્દ્રા સાથે જોવા મળેલી મહિલાનું નામ સ્વાતિ પાંડે છે અને તે મુંબઈની પોસ્ટ માસ્ટર જનરલ છે.
આનંદ મહિન્દ્રાએ ફોટો ટ્વિટ કરીને લખ્યું- 'હર ઘર તિરંગા અભિયાન' હેઠળ મુંબઈના પોસ્ટ માસ્ટર જનરલ સ્વાતિ પાંડે પાસેથી તિરંગો મેળવવો સન્માનની વાત હતી. અમારી પોસ્ટલ સિસ્ટમમાં ધ્વજ ઊંચો રાખવા બદલ સ્વાતિનો આભાર. તેઓ આજે પણ આપણા દેશના હૃદયની ધડકન છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે સ્વાતિ પાંડેએ રતન ટાટા અને આનંદ મહિન્દ્રાને તિરંગો અર્પણ કર્યો હતો. તો પછી શા માટે અશ્વિની વૈષ્ણવે ફોટો ટ્વીટ કર્યો છે. તો મામલો એવો છે કે અશ્વિની વૈષ્ણવ ટપાલ વિભાગના મંત્રી છે. એટલા માટે તેમણે આ તસવીરો શેર કરી છે.
સ્વાતિ પાંડે વરિષ્ઠ અમલદાર છે. હાલમાં તેઓ પોસ્ટ માસ્ટર જનરલ તરીકે ઈન્ડિયા પોસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે. તેણીએ 2016 થી 2018 સુધી ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીના CEO તરીકે પણ સેવા આપી હતી. આ સિવાય સ્વાતિ પાંડેએ એટોમિક એનર્જી વિભાગમાં એડમિનિસ્ટ્રેટિવ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ એક ફિલ્મ નિર્માતા પણ છે અને તેમને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ, પોસ્ટ વિભાગે 10 દિવસમાં એક કરોડથી વધુ રાષ્ટ્રધ્વજનું વેચાણ કર્યું છે. ભારતીય ટપાલ વિભાગ લોકોને માત્ર 25 રૂપિયામાં 20 ઈંચ પહોળો અને 30 ઈંચ લાંબો ત્રિરંગો આપી રહ્યું છે.