ઇમાનદાર કરદાતાઓ માટે મોદી સરકારે લીધા છે ઐતિહાસિક નિર્ણયોઃ અમિત શાહ
નવી દિલ્હી તા. ૧૪ : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગઇકાલે કહ્યું કે મોદી સરકારે ઇમાનદાર કરદાતાઓને મજબુત બનાવવા અને તેમને સન્માનિત કરવા માટે ઘણા ઐતિહાસીક નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા 'પારદર્શી કરાધાન-ઇમાનદાર કા સન્માન' મંચની શરૂઆત કરદાતાઓ માટે ભેટ સમાન છે. કરમાળખામાં સુધારાઓ આગળ વધારતા વડાપ્રધાને આજે આ નવી કર વ્યવસ્થાનું લોકાર્પણ કર્યું અને તે સાથેજ દેશવાસીઓને સ્વપ્રેરણાથી આગળ આવીને કર ચુકવવાનું આહવાન કર્યું.
ઇમાનદાર કરદાતાઓને ભારતના વિકાસ અને સમૃદ્ધિની કરોડરજજુ ગણાવતા તેમણે ટવીટ કરીને કહ્યું 'તેમને મજબુત બનાવવા અને તેમને સન્માન આપવા માટે મોદી સરકારે ઘણા ઐતિહાસિક, નિર્ણયો લીધા છે. આ મંચ વડાપ્રધાનના ન્યુનતમ સરકાર, કારગર શાસન'ના સંકલ્પની દિશામાં વધુ એક મહત્વનું પગલું છે શાહે આ કર સુધારા મંચને નવા ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવીને કહ્યું કે આ મંચ વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આપણા કરદાતાઓને એક ભેટ છે. ફેસલેસ એસેસમેન્ટ ફેસલેસ અપિલ અને કરદાતા ચાર્ટર જેવા સુધારાઓથી આ પ્લેટફોર્મ આપણી કરપ્રણાલીને વધુ મજબુત કરશે.