હજુ વધુ મંદીના ખપ્પરમાં ધકેલાશે રિયલ એસ્ટેટ
લાખો મકાનો તૈયાર પણ કોઇ લેવાલ નથી
નવી દિલ્હી તા.૧૪: દેશના રિયલ એસ્ટેટની સ્થિતી બધા જાણે જ છે. આ ક્ષેત્રની ઓછામાં ઓછી છ મોટી કંપનીઓ પર નાદારીની પ્રક્રિયા ચાલી રહી છે. દેશભરમાં લાખો મકાનો તૈયાર છે પણ તેને ખરીદનાર કોઇ નથી. બેંકો અને નાણાંકીય સંસ્થાઓએ લોન આપવાનું બંધ કરી દીધું છે. મકાનોની કિંમત સતત ઘટી રહી છે. આ સેકટરની સ્થિતી અંગે એક નવો અભ્યાસ રિપોર્ટ બહાર આવ્યો છે જેના અનુસાર ભવિષ્યમાં સ્થિતી વધારે બગડવાની છે. રિપોર્ટ અનુસાર, માંગમાં ઘટાડો, વેચાયા વગરના મકાનોની સંખ્યામાં સતત વધારો અને એનબીએફસીની સમસ્યાનુ સમાધાન નથી થઇ રહ્યું. ઓટો મોબાઇલ અને એફએમસીજી સેકટર મંદીમાં ફસાયા પછી હવે રિયલ એસ્ટેટ સેકટર પણ મુશ્કેલીમાં હોવાનું જણાઇ રહ્યું છે. આ સેકટરમાં પરિયોજનાઓની વળતી કિંમતોને સૌથી મોટી સમસ્યા ગણાવાઇ છે આ સમસ્યા માટેનોન બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) તરફથી નાણાકીય સુવિધાઓ બંધ થવાનું મુખ્ય કારણ જણાવવામાં આવે છે. એનબીએફસી પાસેથી લોન ન મળવાના કારણે કંપનીઓએ બહારથી લોન લેવામાં વધારે વ્યાજ ચુકવવું પડે છે.
આ સેકટરમાં આમ તો આખા દેશમાં નિરાશાની પરિસ્થિતી છે પણ ઉત્તર ભારતમાં પરિસ્થિતી સૌથી ખરાબ છે.