મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

બીજેપી નેતા સામેના મુઝફ્ફરનગર કોમી હિંસા સહિતના સાત કેસો પાછા ખેંચશે યોગી સરકાર

લખનૌ:ઉત્તર પ્રદેશની યોગી સરકાર બીજેપી ધારાસભ્ય સંગીત સોમ વિરુદ્ધ સાત મામલાઓને પાછા ખેંચવાની તૈયારી કરી છે મામલે યોગી પ્રશાસને રાજ્યના ચાર જીલ્લા અધિકારીઓને પત્ર લખી તમામ મામલાઓનો સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો છે. સંગીત સોમ પર એક નકલી વીડિયો દ્વારા મુઝફફરનગરમાં હિંસા ભડકાવવાના ગંભીર આરોપ છે. સરકાર મુઝફ્ફરનગરની કોમી હિંસામાં નોંધાયેલા 175 કેસોમાંથી 70 કસોને પાછા ખેંચી રહી હોવાના અહેવાલ છે.

યૂપીના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય વિશે પહેલા જણાવી ચૂક્યા હતા કે સપા સરકારના કાર્યકાળમાં જેમની પર ખોટા કેસો ચાલી રહ્યા હતા તેને હટાવી લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સપા સરકારની જેમ અમે કોઇ આતંકવાદી પરથી કેસ ખેંચી નથી રહ્યા. સપાના કાર્યકાળમાં રાજકીય ષડયંત્ર હેઠળ જેમને ફસાવવામાં આવ્યા હતા, તેમાં વર્તમાન સરકાર જો કોઇ કાર્યવાહી કરી રહી છે તો તેના અધિકાર હેઠળ કરી રહી છે.

જો કે રાજ્ય સરકારના નિર્ણયથી વિપક્ષ દળોમાં ભારે રોષ છે. સપા નેતા રામ ગોવિંદ ચૌધરીએ જણાવ્યું કે, સરકાર કેસો પાછા ખેંચી રહી છે કારણ કે તેમણે આવા લોકોની મદદથી ફરીવાર કોમી હિંસા ભડકાવવી છે. કોમી હિંસા બીજેપીનો મુખ્ય કાર્યક્રમ છે.

(12:00 am IST)